Dahod/ ફતેપુરામાં પાર્કિંગ મુદ્દે થયેલી બબાલમાં યુવકની હત્યા, સમગ્ર પંથકમાં ચકચાર
દાહોદના ફતેપુરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક નિર્દોષ યુવકનું મોત નીપજ્યું છે. ફતેપુરાના બાલૈયા વિસ્તારમાં આવેલી બાલાજી ટેલીકોમ નામની દુકાન પાસે બાઈક પાર્ક કરવા જેવી ક્ષુલ્લક બાબતે વિવાદ શરૂ થયો હતો, જે અંતે હત્યામાં પરિણમ્યો હતો.
છાતીના ભાગે ગંભીર ઈજા
પ્રાપ્ત માહિતી અનુસાર, બાઈક પાર્કિંગ મુદ્દે બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓએ મુકેશભાઈ અગ્રવાલ પર હિંસક હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન મુકેશભાઈને છાતીના ભાગે ગંભીર માર વાગતા તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ફતેપુરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ૩ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. મૃતક મુકેશભાઈના પરિજન દિલીપભાઈ અગ્રવાલે ન્યાયની માંગ સાથે આ અંગે વિગતો આપી હતી.

