Video/ Chhota Udaipurમાં ખેડૂતો થયા પાયમાલ, સરકારી સહાયની જાહેરાત છતાં એક રૂપિયો પણ મળ્યો નથી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને સંખેડા તાલુકાના ખેડૂતોની હાલત કમોસમી વરસાદને કારણે અત્યંત દયનીય બની ગઈ છે. આ ત્રણ તાલુકાના ખેડૂતો મુખ્યત્વે કપાસની ખેતી પર નિર્ભર છે, પરંતુ કમોસમી વરસાદના કારણે કપાસનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતો લાખો રૂપિયાનો ખર્ચ કર્યા છતાં લણણીના સમયે ખેતી નષ્ટ થતાં પાયમાલ થઈ ગયા છે.
ઉભો પાક સુકાયો
કમોસમી વરસાદની તારાજી એટલી મોટી છે કે કપાસના ઉભા છોડ સુકાઈ ગયા છે અને તેના પર લાગેલા ડીંડવા પણ સુકાઈ ગયા છે. ખેડૂતોનો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. કપાસનો પાક નષ્ટ થતાં બજારોમાં વેપારીઓએ પણ તેમને ધિરાણ આપવાનું બંધ કરી દીધું છે. જીવન નિર્વાહ ચલાવવા માટે સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકવાનો વારો આવ્યો છે. જીવન નિર્વાહ ચલાવવા માટે બીજી કોઈ મજૂરી પણ ચાલતી ન હોવાથી ખેડૂતો ક્યાં જાય તેવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે.
ખેડૂત કાળુભાઈ ભીલ, ચીમનભાઈ ભીલ, અને બાબુભાઈ ભીલે પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે શિયાળાની ખેતી કરવા માટે પણ તેમની પાસે નાણાં નથી અને બેંકો ધિરાણ આપતી નથી.
સહાયની જાહેરાત માત્ર કાગળ પર?
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, તંત્ર દ્વારા કૃષિ સહાયની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી એક પણ ખેડૂતને એક પણ રૂપિયો મળ્યો નથી. આવી ગંભીર પરિસ્થિતિમાં, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો સરકાર વહેલી તકે સહાયની રકમ ચૂકવે અને તેમને આર્થિક સંકટમાંથી બહાર કાઢે તેવી આજીજીભરી માંગ કરી રહ્યા છે.

