VIDEO: અમદાવાદની એજન્સીના વાંકે 3 ગામના લોકો મુશ્કેલીમાં! ઉચ્છ નદી પર પુલનું કામ અધૂરું મૂકી કોન્ટ્રાક્ટર પલાયન
VIDEO: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી રહી છે. સંખેડા તાલુકાના નાગરવાડા થી ઝાંપા અને ખંડુપુરા ગામને જોડતા રસ્તા પર આવેલી ઉચ્છ નદી પર બ્રિજની કામગીરી અધવચ્ચે લટકી પડતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કરોડોના ખર્ચે મંજૂર થયો હતો બ્રિજ
સરકાર દ્વારા આ મહત્વના જોડાણ માટે 6 કરોડના ખર્ચે બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અમદાવાદની 'મારુતિ ફાઉન્ડેશન એન્ડ કન્સ્ટ્રક્શન કંપની'ને રૂપિયા 6.44 કરોડના ખર્ચે આ પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી માટે એજન્સીને તારીખ 01/10/2024 ના રોજ વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો, જેની પૂર્ણતાની તારીખ 31/08/2025 નક્કી કરવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટર પાયા ખોદીને થયો ગાયબ
મળતી માહિતી મુજબ, એજન્સીએ શરૂઆતમાં ચાર પાયાનું ખોદકામ કર્યું હતું, પરંતુ ત્યારબાદ રહસ્યમય સંજોગોમાં કામગીરી બંધ કરીને જતી રહી હતી. સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરી દ્વારા અત્યાર સુધીમાં ચાર જેટલી નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં કોન્ટ્રાક્ટરે કામગીરી પુનઃ શરૂ કરવાની તસ્દી લીધી નથી.
લોકોની હાલાકી અને તંત્રની કાર્યવાહી
આ વિલંબને કારણે નાગરવાડા, ઝાંપા અને ખંડુપુરા ગામના લોકોને હાલ 15 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં સ્થિતિ અત્યંત ગંભીર બની જાય છે. અગાઉ બનાવેલું ડાયવર્ઝન પણ ઉપયોગી રહેતું નથી, જેના કારણે ગ્રામજનોની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે

