VIDEO: 25 પરિવારની ‘ઘર વાપસી’, ધર્મ પરિવર્તનના આરોપો વચ્ચે વિવાદ
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના વાસણા ગામે 25 જેટલા પરિવારોની ઘર વાપસીનો કાર્યક્રમ યોજાયો હતો. શ્રી આનંદવર્ધન આશ્રમના લોકાર્પણ પ્રસંગે સંતોની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે આ પરિવારોને ફરી હિન્દુ ધર્મમાં જોડવામાં આવ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ, અગાઉ આ પરિવારો ખ્રિસ્તી ધર્મમાં જોડાયા હતા અને તેમને લોભ-લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સંતોએ આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સંતોએ આક્ષેપ કર્યો કે વિદેશી નાણાંના આધારે લોકોને પ્રભાવિત કરવામાં આવે છે અને આવી પ્રવૃત્તિ રોકવા માટે સમાજને એક થવા અપીલ કરી હતી. જોકે, આ મામલે લગાવવામાં આવેલા આક્ષેપો અંગે સત્તાવાર પુષ્ટિ અથવા વિરોધી પક્ષનું નિવેદન સામે આવ્યું નથી. સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

