Video: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP તમામ બેઠકો પર લડશે – ધારાસભ્ય ચૈતર વસાવા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દેડીયાપાડાના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે ગુજરાતમાં AAPની ચૂંટણી રણનીતિ સ્પષ્ટ કરી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે પાર્ટી આ ચૂંટણીઓમાં પૂરી તાકાતથી ઝંપલાવશે.
અનેક આગેવાનો અને સરપંચો AAP માં જોડાશે
ચૈતર વસાવાએ વધુમાં દાવો કર્યો હતો કે, "ગુજરાતમાં પરિવર્તનની લહેર છે. ઘણા બધા સરપંચો અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે." તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે AAP સ્થાનિક સ્તરે પોતાનું સંગઠન મજબૂત કરવા માટે આક્રમક રીતે કામ કરી રહી છે.
પરિવર્તન આવશે અને સ્વતંત્ર બોડી બનશે: વસાવા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે આશા વ્યક્ત કરતાં ધારાસભ્ય વસાવાએ કહ્યું કે, "આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન આવશે." તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, "આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોડી બનશે તેવી અપેક્ષાઓ છે."

