VIDEO: Chhotaudepurના બાંગાપુરામાં લોકોનો સુત્રોચ્ચાર, ચૂંટાયા બાદ સરપંચ ગૂમ થતાં વિકાસ ઠપ્પ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગાપુરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ચૂંટાયા બાદ ગૂમ થયા છે. બાંગાપુરા જૂથ ગ્રામ પંચાયતમાં બાંગાપુરા ભૂખનપુરા ખમાપુરા બુટીયા ચાર ગામની બનેલી છે. 3000 જેટલી વસ્તી આવેલી છે. જયારે બાંગાપુરાના સરપંચ તરીકે દેવરાજભાઇ હસમુખભાઈ બારીયા ચૂંટાયા હતા. તેઓ ચૂંટાયા બાદ અનાજ સગેવગેના કૌભાંડમાં મારામારીના ગુનામાં તેમજ ગામના એક યુવાનો પગ તોડી નાખ્યો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ તારીખ 5/7/2025 ના રોજ સરપંચ સામે ફરિયાદ નોંધાઈ હતી.
સરપંચ ફરાર
સરપંચ ગામ છોડીને ફરાર થઇ જતા ગ્રામ પંચાયતની પ્રથમ સભા તારીખ 19/7/2025 ના રોજ મળી હતી. જેમાં સરપંચ હાજર ન રહેતા ચૂંટાયેલા સભ્યોએ સરપંચ વિના પ્રથમ સભામાં ડેપ્યુટી સરપંચની વરણી કરી હતી. ત્યાર બાદ બીજી સભા માસિક મિટિંગ કરવામાં આવી તેમાં પણ સરપંચ હાજર ના રહ્યા. ત્યાર બાદ ગ્રામ સભા તારીખ 15/8/2025 ના રોજ મળી હતી. જેમાં પણ સરપંચ હાજર રહ્યા ના હતા. સરપંચ ચૂંટાયા બાદ ગ્રામ પંચાયતની સભાઓમાં હાજર ના રહેતા ગ્રામ પંચાયતનો વહીવટ ખોરંભે પડી ગયો છે. સરકારની વિવિધ યોજનાઓમાં સરપંચની સહીની જરૂરિયાત હોય છે. ત્યારે સરપંચ ન મળતા તલાટી પણ વહીવટ કરવામાં વિમાસણમાં મુકાયા છે. સરપંચે કોઈ પણ રજા રિપોર્ટ મુક્યો નથી. હાલ તો 3000 જેટલા લોકો સરપંચની રાહ જોઈ રહ્યા છે.
સરપંચ વિરુદ્ધ સુત્રોચ્ચાર
આ બાબતે ગ્રામ જનો એ તાલુકા વિકાસ અધિકારી ને તેમજ તલાટી ને રજુઆત કરીને થાકી જતા ગ્રામ જનો ભેગા થઈને અમારો સરપંચ ખોવાયો છે તેવા સુત્રોચ્ચાર કર્યા હતા. માંગણી કરી હતી કે ડેપ્યુટી સરપંચ ને ચાર્જ આપવામાં આવે અને વિકાસ ના કામો તેમજ અન્ય કામગીરી કરી શકે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે જયારે સરપંચ ચૂંટાયા બાદ કોઈ પણ સભામાં હાજર ના રહે તો સરકાર ના નિયમ મુજબ તેની જગ્યાએ ડેપ્યુટી સરપંચ ને ચાર્જ આપવાનો નિયમ છે. બાંગાપુરાના સરપંચ સરકારી ચોપડે ફરાર છે પોલીસ સરપંચ ને શોધી રહી છે જયારે હાલ તો સરપંચ વિના ગ્રામજનો હેરાન પરેશાન છે જયારે આ બાબતે તલાટીએ તાલુકા વિકાસ અધિકારી ને પત્ર લખીને ગ્રામ પંચાયત ની કામગીરી કેવી રીતના કરવી તેનું માર્ગદર્શન માંગ્યું છે તેવું તલાટી જણાવી રહ્યા છે.

