VIDEO: Chhota Udaipurની ભારજ નદીનો બ્રીજ ધોવાયો, જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી પસાર થવા લોકો મજબુર
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ ધોવાઈ ગયા બાદ સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. આ બ્રિજ ધોવાયા પછી બનાવવામાં આવેલું ડાયવર્ઝન પણ નદીના પાણીમાં ધોવાઈ ગયું, જેના કારણે નેશનલ હાઈવે 56 પર અવરજવર બંધ થઈ ગઈ છે. પરિણામે, પાવીજેતપુર અને બોડેલી તાલુકાના 3 લાખથી વધુ લોકોને માત્ર 1 કિલોમીટરનું અંતર કાપવા માટે 30 કિલોમીટરનો ફેરો મારવો પડે છે. આ લાંબા રૂટથી બચવા માટે ઘણા રાહદારીઓ અને બાઇક સવારો જીવનું જોખમ ખેડીને ભારજ નદીમાંથી બાઇક ચલાવીને પસાર થઈ રહ્યા છે.
વિકાસની ગુલબાંગો વચ્ચે પાવીજેતપુર અને બોડેલીના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. રાહદારી જીગરભાઈ પંચાલે જણાવ્યું, “બ્રિજ ધોવાઈ ગયો ત્યારથી અમારે નદીમાંથી પસાર થવું પડે છે, જે ખૂબ જોખમી છે. સરકારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી.” અમરસિંગભાઈ રાઠવાએ ઉમેર્યું, “અમે રોજ આ નદીમાંથી બાઇક લઈને જઈએ છીએ, પરંતુ કોઈ નેતા કે અધિકારી અમારી સમસ્યા સાંભળવા તૈયાર નથી.”

