Botadમાં વ્યાજખોરોનો ત્રાસ, 5 શખ્સોએ યુવક પર લોખંડની પાઈપો વડે કર્યો જીવલેણ હુમલો

બોટાદ જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. બોટાદના સાગાવદર ગામે વ્યાજની ઉઘરાણી મામલે એક યુવક પર પાંચ જેટલા શખ્સોએ લોખંડની પાઈપો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકનો પગ ભાંગી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદ તાલુકાના સાગાવદર ગામમાં રહેતા અનિલભાઈ ધનજીભાઈ લોરીયા નામના યુવકે આજથી બે વર્ષ પહેલા પોતાના જ ગામના જયુભાઈ વનરાજભાઈ ગોવાળિયા પાસેથી રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા. જોકે, આર્થિક સંકડામણને કારણે યુવક આ રકમ કે તેનું વ્યાજ સમયસર ચૂકવી શક્યો ન હતો.
આ બાબતની અદાવત રાખીને જયુભાઈ ગોવાળિયા અને અન્ય ચાર અજાણ્યા શખ્સોએ અનિલભાઈને ઘેરી લીધા હતા અને લોખંડની પાઈપો વડે બેફામ માર માર્યો હતો. વ્યાજખોરોએ યુવકને એટલી હદે માર્યો હતો કે તેનો પગ ભાંગી ગયો હતો અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટના બાદ ઈજાગ્રસ્ત અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે પ્રથમ બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલ (સર ટી. હોસ્પિટલ) ખાતે રિફર કરવામાં આવ્યા છે.
આ અંગે ઈજાગ્રસ્ત અનિલભાઈએ બોટાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવકના નિવેદનના આધારે મુખ્ય આરોપી જયુભાઈ વનરાજભાઈ ગોવાળિયા તથા ચાર અજાણ્યા ઈસમો સામે નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તમામ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

