VIDEO: લઠ્ઠાકાંડના મુખ્ય આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, દારૂ બનાવવાની સામગ્રી જપ્ત
ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી ગૌતમ સોલંકી, રઈસ અને અન્ય બે આરોપીઓનું રિકન્ટ્રક્શન કરાયું છે. ગૌતમ સોલંકી ક્યાં અને કઈ રીતે દારૂ બનાવતો હતો તે સ્થળે SMC દ્વારા રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. SMCએ ગૌતમ સોલંકીના ઘરેથી દારૂ બનાવવા માટે વપરાતા સિન્ટેક્સની ટાંકીઓ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.
વધુ બેના મોત, મૃત્યુઆંક 13 પર પહોંચ્યો
આ લઠ્ઠાકાંડમાં વધુ બે લોકોના મોત નીપજતા સમગ્ર દારૂકાંડમાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચી ગયો છે. આજે દમ તોડનારાઓમાં મૂળ મહીસાગરના મુકેશ ડામોર અને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારના સાગવાડી ખાતે રહેતા ભાર્ગવ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, મુકેશ ડામોર ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જ્યાં તેની તબિયત વધુ લથડતા આઈસીયુમાં ખસેડાયો હતો, પરંતુ તે જિંદગી સામેની જંગ હારી ગયો હતો. જ્યારે ખાનગી બેન્કમાં ફરજ બજાવતા ભાર્ગવ ઉપાધ્યાયનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ પૂર્વે 22મી ઓગસ્ટે ભાવનગરથી સુરત સારવાર અર્થે લઈ જવાયેલા બ્રેઈનડેડ સંજયસિંહ ડોડિયા સહિત ત્રણ લોકોના પણ મોત થયા હતા.
61 લોકોની તબિયત લથડી, 10 ગંભીર
ભાવનગર નકલી દારૂકાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 61 જેટલા લોકોની તબીયત લથડી છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 10 લોકોની સ્થિતિ અત્યંત નાજુક અને ગંભીર જણાવવામાં આવી રહી છે, જેને પગલે તબીબોની ટીમ દ્વારા તેમના પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોલીસની મોટી કાર્યવાહી: 21 સામે ગુનો, 13 આરોપી જેલહવાલે
ઘટનાને પગલે સાયબર અને સ્થાનિક પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ સમગ્ર કાંડમાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત કુલ 21 લોકો સામે નામજોગ ગુનો નોંધ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં 13 જેટલા મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીના ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસ ધમધમાવવામાં આવી રહી છે.
મુખ્ય આરોપી ‘રઈશ’ 31મી ઓગસ્ટ સુધી રિમાન્ડ પર
એસએમસીની ટીમે નકલી દારૂકાંડના મુખ્ય આરોપી ‘રઈશ’ને પોલીસ બંદોબસ્ત વચ્ચે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 31મી ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, એસએમસી દ્વારા કરવામાં આવનાર તપાસમાં આ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો, કોના છત્રછાયા હેઠળ આ કાળો કારોબાર ફાલ્યો-ફૂલ્યો અને આ નકલી દારૂકાંડ પાછળ બીજા કયા મોટા માથાંઓ સંકળાયેલા છે તેવા અનેક ચોંકાવનારા ઘટસ્ફોટઓ થવાની પૂર્ણ શક્યતાઓ સેવાઈ રહી છે.
દારૂમાં મિથેનોલ એટલે ઝેર
પીવાના દારૂમાં મુખ્ય આલ્કોહોલ હોય છે. તેના બદલે અથવા તેની સાથે મિથેનોલ જેવા અયોગ્ય ઔદ્યોગિક આલ્કોહોલનો ઉપયોગ થાય ત્યારે જોખમ જીવલેણ બની શકે છે. મિથેનોલ શરીરમાં ગયા પછી એવા ઝેરી પદાર્થમાં પરિવર્તિત થાય છે જે ખાસ કરીને આંખ, મગજને ગંભીર રીતે અસર કરી શકે છે. પરિણામે દ્રષ્ટિ ગુમાવવાથી લઈને કોમા અને મૃત્યુ સુધીની સ્થિતિ ઊભી થઈ શકે છે. 2022ના બોટાદ-ધંધુકા વિસ્તારમાં બનેલી ઘટના ગુજરાતના ઈતિહાસની સૌથી ભયાનક લઠ્ઠા કાંડની ઘટનાઓમાંની એક બની. જેમાં લોકોને દારૂ હોવાનું માનીને પીવડાવવામાં આવેલા પ્રવાહીમાં 98.71થી 98.99 ટકા સુધી મિથેનોલ હોવાનું સામે આવ્યું હતું.

