ભાવનગરના સરતાનપર બંદર નજીક દરિયામાં ન્હાવા પડેલા એકજ પરિવારના 3 બાળકો ડૂબ્યા, તરવૈયાઓનું કલાકો સુધી સર્ચ ઓપરેશન

ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર નજીક દરિયામાં ન્હાવા ગયેલા એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકો દરિયાના તેજ પ્રવાહ અને ઉછળતા મોજાની ઝપેટમાં આવી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ અકસ્માતમાં બે બાળકોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
એક બાળકીનો આબાદ બચાવ
મળતી માહિતી અનુસાર, બાળકોને દરિયાના પાણીમાં ડૂબતા જોઈ કિનારે ઉભેલા સ્થાનિક લોકો અને પરિવારજનોએ ભારે બૂમાબૂમ કરી મૂકી હતી, જેને પગલે કિનારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર સ્થાનિક માછીમારો અને લોકોએ તાત્કાલિક દરિયાના પાણીમાં ઝંપલાવ્યું હતું. તેમણે ભારે જહેમત બાદ ત્રણ બાળકો પૈકીની એક બાળકીને જીવતી બહાર કાઢી લીધી હતી, જેથી તેનો આબાદ બચાવ થયો હતો. જોકે, અન્ય બે બાળકો દરિયાના કરંટમાં તણાઈને ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા.
ફાયર ફાઇટરો અને તરવૈયાઓનું કલાકો સુધી સર્ચ ઓપરેશન
ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિકો દ્વારા તળાજા ફાયર રેસ્ક્યુ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બચાવ કામગીરીમાં સરતાનપર ગામના સરપંચ, સ્થાનિક રહીશો અને દરિયાના પાણીના પ્રવાહથી વાકેફ સ્થાનિક તરવૈયાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. દરિયાના તોફાની મોજા વચ્ચે કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બંને બાળકો તરવૈયાઓને મળી આવ્યા હતા.
હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા
દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે બંને બાળકો અર્ધમૂર્છિત અને અત્યંત નાજુક હાલતમાં હતા. તેમને તાત્કાલિક 108 મારફતે સારવાર અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ બંને બાળકોને તબીબી તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના બે-બે ચિરાગ બુઝાઈ જતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ગોઝારી ઘટનાને પગલે સરતાનપર ગામ સહિત સમગ્ર તળાજા પંથકમાં ભારે શોક અને અરેરાટીનું મોજું ફરી વળ્યું છે.

