VIDEO: હાંસોટમાં જર્જરિત ઓવરબ્રિજના સમારકામ માટે મળી સત્તાવાર મંજૂરી, મુસાફરોને થશે મોટી રાહત
સોર્સ : GSTV
અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર હાંસોટના સાહોલ નજીક કિમ નદી પરના જર્જરિત ઓવરબ્રિજના સમારકામ માટે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. બ્રિજની નબળી હાલતને કારણે મોટા વાહનો પર પ્રતિબંધ હોવાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હતી.
હાલ ચૂંટણી આચારસંહિતાને કારણે ટેન્ડર પ્રક્રિયા અટકેલી છે, જે આચારસંહિતા પૂર્ણ થતા જ વેગવંતી બનશે. દરમિયાન, રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની રજૂઆતના પગલે મુસાફરોની સુવિધા માટે બ્રિજ પરથી મીની બસની અવરજવર શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી અંકલેશ્વર-હાંસોટ અને સુરત વચ્ચેના દૈનિક મુસાફરોને મોટી રાહત મળી છે. સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે વહેલી તકે બ્રિજનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ થશે અને વાહનવ્યવહાર પૂર્વવત રીતે શરૂ થઈ જશે.

