અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રક-ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, ટેન્કરમાંથી એસિડ લીક થતા મચી દોડધામ

Ankleshwar Bharuch News : અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર હવામહેલ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતા દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો.
રાજસ્થાનના 35 વર્ષીય યુવકનું મોત
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે આમલાખડી ઓવરબ્રિજ નજીક આજે વહેલી સવારે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર રાજસ્થાનના 35 વર્ષીય કિશનલાલ ગુર્જર નામના યુવકનું ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ
આ અકસ્માત બાદ ટેન્કરમાંથી એસિડ લીક થતાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.


