VIDEO: હવે મા અંબાના ધામે ભક્તો આપી શકશે ભોજન સેવા: જાણો શું છે અંબાજી મંદિરની 'જય અંબે તિથિ યોજના'
VIDEO: બનાસકાંઠા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ હવે તે સેવાનું પણ મોટું પ્રતીક બની રહ્યું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી નવીન પહેલ 'જય અંબે તિથિ યોજના'ને દાતાઓ તરફથી અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. "માતાજીએ આપેલું માતાજીને અર્પણ" ના મંત્ર સાથે મોટી સંખ્યામાં ભક્તો આ યોજનામાં જોડાઈ રહ્યા છે.
અનંત અંબાણી અને રિલાયન્સનો મોટો ફાળો
આ યોજનાની સફળતામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અનંત અંબાણીનો સિંહફાળો રહ્યો છે. રિલાયન્સ ગૃપ દ્વારા આ યોજના માટે કુલ 27 કરોડ 50 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. રિલાયન્સ આગામી પાંચ વર્ષ માટે આ યોજનાના મુખ્ય દાતા બન્યા છે, જે અંતર્ગત અંબિકા ભોજનાલયમાં આવતા લાખો ભક્તોને ભોજન પ્રસાદનો લાભ મળશે.
દાતાઓનો અવિરત પ્રવાહ
તિથિ યોજનાની લોકપ્રિયતા એટલી વધી છે કે અત્યાર સુધીમાં કુલ 30 કરોડ રૂપિયાથી વધુનું દાન ટ્રસ્ટને પ્રાપ્ત થયું છે. આજે પણ એક શ્રદ્ધાળુ 52 લાખ રૂપિયાનું માતબર દાન લઈને આવ્યા હતા. અંબિકા ભોજનાલય ખાતે એક દિવસની તિથિ યોજનાના દાતા બનવા માટે રૂપિયા 1,51,000ની રકમ નક્કી કરવામાં આવી છે, જેમાં અનેક પરિવારો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે.
ટ્રસ્ટ દ્વારા દાતાઓનું સન્માન
અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલે જણાવ્યું હતું કે, દાતાઓ અને ભક્તોના સહકારથી આ યોજના અંબાજી આવતા યાત્રિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આજે મંદિર પરિસરમાં હાજર રહેલા તમામ દાતાઓનું ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દાતા જીગર મહેતાએ પણ આ યોજનાના વખાણ કરતા જણાવ્યું કે, મા અંબાના ધામમાં ભક્તોને જમાડવાની તક મળવી એ પરમ સૌભાગ્યની વાત છે.
આ યોજનાને કારણે આગામી સમયમાં અંબાજી મંદિરની વ્યવસ્થાઓ અને ભક્તોની સવલતોમાં મોટો સુધારો જોવા મળશે.

