Video/ 'ઉતાવળિયું' ઉદ્ઘાટન મોંઘું પડ્યું, અંબાજીના નવા ST ડેપોમાં પીવાનું પાણી જ નથી, સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર સાધ્યું નિશાન
ધાર્મિક આસ્થાના કેન્દ્ર અંબાજી ખાતે તાજેતરમાં જ જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે નવીન ST ડેપો શરૂ થતાની સાથે જ વિવાદમાં સપડાયુ છે. અંબાજી પોલીસ સ્ટેશન નજીક શરૂ કરાયેલા આ બસ સ્ટેન્ડમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવાના કારણે મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પીવાના પાણીના પ્રશ્ને મુસાફરો હેરાન પરેશાન
નવા બસ ડેપોમાં મુસાફરોની સૌથી મોટી ફરિયાદ પીવાના પાણીને લઈને છે. મુસાફરોએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "બસ ડેપો નવો બન્યો હોવા છતાં હાલમાં અહીં પીવાનું પાણી આવતું નથી. જેના કારણે વૃદ્ધો અને બાળકો સહિત તમામ મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે." વડોદરાથી આવેલા એક મુસાફર પ્રણવ વસાવાએ પણ આ અંગે પોતાની વેદના વ્યક્ત કરી હતી.
સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા' અંબાજી ખાતે પહોંચતા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું હતું. "સરકાર દ્વારા ઉતાવળે ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું, પરંતુ મુસાફરો માટેની પાયાની સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી. નવનિર્મિત ડેપોમાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા ન હોય તે શરમજનક છે. સરકારે તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ."
સાંસદે માગણી કરી છે કે, પ્રશાસન તાત્કાલિક મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરે અને નવા ડેપોમાં તમામ જરૂરી સુવિધાઓ વહેલી તકે ઉપલબ્ધ કરાવે.

