થરાદમાં લકી ડ્રોના નામે ચાલતા ગોરખધંધામાં પોલીસ બની ફરિયાદી, 5 સામે FIR

બનાસકાંઠામાં લકી ડ્રોના નામે ફાટી નિકળેલા ગોરખધંધામાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. થરાદ પોલીસ મથકે ASI સેધાભાઈ કાળાભાઈએ નકળંગ ગૌસેવા ટ્રસ્ટ દિદરડા નામની સંસ્થાને ડ્રો કરવાનીના પાડવા છતાં ડ્રો કરતાં 5 આયોજકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ગેરકાયદેસર રીતે લોકોને લલચાવી લોકોને છેતરવાના ઇરાદે સંગઠિત થઈ લોભામણી જાહેરાતો કરતા હતા. સરકારની મંજૂરી વિના દીદરડા ગામે ડ્રો થતાં પોલીસ દ્વારા આખરે 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. થરાદના રહેવાસી સુરેશ રમેશ ચૌધરી, સવદાસ અણદાજી ચૌધરી, સુરેશ પ્રતાપ ઠાકોર તેમજ દિયોદરના રહેવાસી વિષ્ણુ ઠાકોર અને મહેશ ઠાકોર સામે ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો : VIDEO: ગુજરાતમાં વધુ એક પોન્ઝી સ્કીમ, ગૌ માતાના નામે લોકો પાસેથી 100 કરોડથી વધુ ખંખેર્યા; સાત લોકો સામે ફરિયાદ
થરાદ પોલીસ મથકે અત્યાર સુધી 12 લોકો સામે થરાદ પોલીસે ગુનો નોંધ્યો છે. થરાદ DYSP એસ એમ વારોતરિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આયોજકો દ્વારા કરાતી લોભામણી જાહેરાતોથી દૂર રહો. આયોજકો ડ્રો કરીને લાગવગ કરીને મોટા થઈ ગયા હતા. તેમની સામે કોઈ અવાજ ઉઠાવી શકતા ન હતા. આખરે સરકારી પક્ષ તરફથી અમારે ફરિયાદી બનવું પડ્યું. આ કાંડનો મુખ્ય સુત્રધાર અશોક માલી કરોડો રૂપિયાનો ડ્રો કરી ચુક્યો છે તેમજ હજુ એમની સામે બીજી 2 તપાસો ચાલુ છે. અત્યારે થરાદ પોલીસ દ્વારા 2 લોકોની પૂછપરછ ચાલુ છે. ઘટનાને અનુરુપ બદીઓને ડામવા થરાદ પોલીસે આગળ આવીને લોકોને જાગૃત થવા અપીલ કરી છે.

