Banaskantha: માણેકનાથ મંદિર ભક્તો માટે આસ્થાનું સ્થાનક, જાણો અમદાવાદ સાથે શું છે કનેક્શન
દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલા માણેકનાથ ડુંગર પર આસ્થાનું સ્થાનક આવેલું છે. અહીં દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે. અહીં માણેકનાથ દાદા અને હિંગળાજ માતાનું મંદિર આવેલું છે. દાંતાથી લગભગ 35 કિમી દૂર આવેલા આ માણેકનાથ ડુંગર ઉપર માણેકનાથ દાદાની ગુફા આવેલી છે, જે ગુફા અમદાવાદના માણેક ચોક સુધી જોડાયેલી છે. વર્ષો પહેલા અમદાવાદ માણેકચોકથી અહીં માણેકનાથ ડુંગરની ગુફામાં માણેકનાથ મહારાજ આવતા હતા અને ભક્તિ કરતા હતા. દાંતા તાલુકાના લોટોલ ગામમાં નીચે માણેકનાથ દાદા નો આશ્રમ આવેલો છે. અહીંના આશ્રમ ખાતે ભક્તો દર્શન કરી ભોજન પ્રસાદ લઈ જાય છે, જ્યારે ગુફા ઉપર માણેકનાથ દાદાની ગુફા આવેલી છે. અરાવલી પર્વતમાળાની વચ્ચે માણેકનાથ ડુંગર સુંદર રળિયામણો જોવા મળે છે. અહીં ભક્તો દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવે છે. તાજેતરમાં ગઢ મહુડી ગામનો રબારી સમાજનો યુવક 2 વખત અગ્નિવિરમા નાપાસ થયો હતો અને ત્રીજા પ્રયાસે પાસ થયો, ત્યારે ટ્રેનિંગ પૂર્ણ કરી માણેકનાથ દાદાના દર્શને આવ્યો હતો. ચોમાસાની ઋતુમાં અહીં ભક્તો કુદરતી સૌદર્યને જોવા અને દર્શન કરવા આવે છે.
બાબા માણેકનાથ 15મી સદીના હિંદુ સંત હતા. તેઓ ગુજરાતના હાલના અમદાવાદ શહેર નજીક સાબરમતી નદીના કાંઠે રહેતા હતા. તેમણે 1411માં અહમદશાહને ભદ્રનો કિલ્લો બનાવવામાં મદદ કરી હતી. જ્યારે દિવસના સમયમાં કિલ્લાની દિવાલો ચણાતી તેની સાથે સાથે તેઓ પણ દિવસ દરમ્યાન સાદડી વણતા, રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા, ત્યારે જાદુઈ રીતે કિલ્લાની દીવાલો પણ તૂટી પડતી. જ્યારે લોકોને આ વાતની જાણ થઈ, ત્યારે તેની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહમદશાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. બીજા કિસ્સામાં તેણે રાજાને તે સ્થળ શોધવામાં મદદ કરી કે જ્યાંથી કિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવે.તેમની સલાહથી શહેરના સ્થપતિ અહેમદ ખાતુએ શહેરનો નકશો બદલ્યો. તેમણે સાબરમતી નદીના ફર્નાન્ડીઝ બ્રિજ નીચેના સ્થળે જીવતે જળ સમાધી લીધી હતી. શહેરના પ્રથમ પા ભાગને, માણેક ચોકનું નામ તેમના નામે અપાયું. તેમની યાદગિરી રુપે એક સ્મારક મંદિર પણ ઉભું કરવામાં આવ્યું છે. એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જ ને માણેક બુરજ તરીકે ઓળખવામાં આવે છે.આ સંત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આદરણીય છે. ખેડા જિલ્લાના ઠાસરા નજીક ભરતહારી પાસે પણ તેમનું સ્મારક છે જ્યાં તેમને ઘોડા પર બેઠેલા બતાવવામાં આવ્યા છે અને તેમને ગામના આશ્રયદાતા સંત માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક લોટોલ ખાતે એક મંદિર છે જે તળેટીમાં ગુફાની નજીક આવેલું છે, ત્યાં આ સંત ધ્યાન કરતા એવું માનવામાં આવે છે. પૂનમ અને રવિવારે ભક્તો લોટોલ ગામે આવેલા આશ્રમ ઉપર દર્શન કરી માનતા પૂરી કરવા આવે છે.

