અંબાજી પૂજા અધિકાર મુદ્દે હાઈકોર્ટના હુકમ સામે ભારે આક્રોશ, રાજવી પરિવારના સમર્થનમાં દાંતા સજ્જડ બંધ
અંબાજી મંદિરની પૂજાના અધિકાર મુદ્દે હાઇકોર્ટના ચુકાદા બાદ દાંતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં આજે આખું શહેર સ્વયંભૂ બંધ રહ્યું છે. છેલ્લા 1100 વર્ષોથી રાજવી પરિવાર અંબાજી મંદિરમાં પૂજા કરતો આવ્યો છે, ખાસ કરીને આસો નવરાત્રીની આઠમે હવન અને પૂજા કરવાની પરંપરા અતૂટ રહી છે.હાઇકોર્ટના તાજેતરના ચુકાદાથી નારાજ રાજવી પરિવાર અને સર્વ સમાજના લોકો આજે વિશાળ રેલી યોજી આવેદનપત્ર પાઠવશે. દાંતા ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે અને પરંપરા જાળવી રાખવાની માંગ કરી રહ્યા છે.
રાજવી પરિવારનો હક છીનવી લેતા હુકમ સામે દાંતામાં આજે આ મુદ્દે દાંતાના બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા અને આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી.આ રેલીમાં કરણી સેના સહિત સમસ્ત સનાતની હિન્દુ સમાજ અને ખાસ કરીને મુસ્લિમ સમાજ પણ મોટી સંખ્યામાં જોડાતા કોમી એકતાના દર્શન થયા હતા. લોકોમાં ભારે રોષ છે કે સદીઓ જૂની આસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજવી પરિવાર અને સર્વ સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂજાનો અધિકાર પુનઃ સ્થાપિત કરવાની માંગ કરી છે.

