Banaskantha: દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં મસમોટું ગાબડું પડતા લાખો લિટર પાણી વેડફાયું
બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ડેમથી માત્ર 100 મીટરના અંતરે એક મસમોટું ગાબડું પડતા લાખો લિટર પાણી વેડફાયું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે સર્જાયેલી આ ઘટનાને પગલે ખેતીના સિંચાઈના પાણી પર સંકટ તોળાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દાંતીવાડા ડેમના ગરનાળાથી મુખ્ય કેનાલ તરફ જતી લાઈનમાં અચાનક 15થી 20 મીટરનું મોટું ગાબડું પડ્યું હતું. કેનાલ તૂટવાને કારણે સિંચાઈ માટે છોડવામાં આવેલું લાખો લિટર કિંમતી પાણી વેડફાઈને સીધું બનાસ નદીમાં વહેતું થયું હતું. ડેમની આટલી નજીક આટલું મોટું ગાબડું પડતા ડેમ સત્તા મંડળના મેન્ટેનન્સ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.
દાંતીવાડા ડેમની આ મુખ્ય નહેર બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અંદાજે 112 થી વધુ ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે. સ્થાનિક લોકોના મતે, સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની સમયાંતરે જાળવણી કરવામાં ન આવતી હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતા જ ડેમ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કેનાલમાં પાણીનો પ્રવાહ રોકવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, પ્રશ્ન એ ઉઠે છે કે તંત્ર હંમેશા હોનારત સર્જાયા બાદ જ કેમ જાગે છે?

