ઓગડ જિલ્લાની માંગને લઈને ગાંધીનગરમાં બેઠક બાદ પણ અનશન ચાલુ

બનાસકાંઠા જિલ્લા વિભાજનનો મુદ્દો રાજ્યભરમાં ગરમાયેલો છે. બનાસકાંઠામાં ઓગડ જિલ્લાની માંગ સાથે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા અનશનનું એલાન કરવામાં આવ્યું છે. મંગળવારથી દિયોદર પ્રાંત કચેરીએ મોટી સંખ્યામાં લોકો અનશન પર જોડાઈ રહ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે દિયોદરને ઓગડ નામથી જિલ્લો બનાવવા માટે માંગ થઇ રહી છે. આ બાબતે સમિતિના સભ્યોની ગાંધીનગરમાં બેઠક પણ થઈ હતી તે છતાં અનશન હજુ ચાલુ છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ઓગડ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં સ્થાનિક લોકો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. ગઈ કાલે દિયોદરમાં ઓગડ જિલ્લા સંકલન સમિતિના સભ્યો સહિત સ્થાનિક લોકો અનશન પર બેઠા છે. દિયોદરના ભાજપ ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિત ઓગડ જિલ્લા સંકલન સમિતિના સભ્યોએ ગાંધીનગરમાં બેઠક કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા: ઓગડ જિલ્લાની માંગ સાથે આંદોલનની જાહેરાત, મંગળવારથી અનશન પર ઉતરશે લોકો
આ બેઠકમાં કેબિનેટ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી બળવંતસિંહ રાજપૂત સાથે બેઠક થઈ હતી, જેમાં ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદરને ઓગડ જિલ્લો બનાવવા માટે રજુઆત કરવામાં આવી હતી. બળવંતસિંહ રાજપુતે તેમની રજુઆત મુખ્યમંત્રી સુધી મોકલવાની ખાત્રી પણ આપી હતી. જોકે આ બેઠક બાદ આજે પણ દિયોદરમાં ઓગડ જિલ્લા સંકલન સમિતિના સભ્યો અને સ્થાનિક લોકોના અનશન ઉપર બેઠેલ જોવા મળ્યા હતા.

