બનાસકાંઠા: ઓગડ જિલ્લાની માંગ સાથે આંદોલનની જાહેરાત, મંગળવારથી અનશન પર ઉતરશે લોકો

બનાસકાંઠા જિલ્લા વિભાજનનો મુદ્દો રાજ્યભરમાં ગરમાયેલો છે. બનાસકાંઠામાં ઓગડ જિલ્લાની માગ સાથે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા અનશનનું એલાન કરવામાં આવ્યું છે. મંગળવારથી દિયોદર પ્રાંત કચેરીએ અનશન પર બેસવા એલાન કરવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે દિયોદરને ઓગડ નામથી જિલ્લો બનાવવા માટે માંગ થઇ રહી છે.
દિયોદરને વડુ મથક બનાવી નવા જિલ્લાને ઓગડ નામ આપવા માંગ
ધાનેરા અને કાંકરેજ તાલુકાને ફરીથી જૂના બનાસકાંઠામાં સમાવવા તેમજ દિયોદરને વડુ મથક જાહેર કરી નવા જિલ્લાને ઓગડ નામ આપવાની માંગણી લોકોમાં ઉઠવા પામી છે. નવા વાવ-થરાદ જિલ્લામાં વાવ, થરાદ, દીયોદર, લાખણી, ધાનેરા, ભાભર, સુઈગામ, કાંકરેજ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. તેમજ જૂના બનાસકાંઠા જિલ્લામાં ડીસા, દાંતા, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, પાલનપુર તાલુકાને યથાવત રાખવામાં આવ્યા છે. નવરચિત વાવ-થરાદ જિલ્લામાં ધાનેરા અને કાંકરેજ તાલુકાનો સમાવેશ કરી દેવાતા આ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેના પ્રત્યાઘાતરૂપે છેલ્લા કેટલાક દિવસથી ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : થરાદમાં લકી ડ્રોના નામે ચાલતા ગોરખધંધામાં પોલીસ બની ફરિયાદી, 5 સામે FIR
શિહોરી, ધાનેરા, કાંકરેજ, થરાના ખેડૂતો અને વેપારીઓએ પોતાના રોજગાર બંધ રાખીને વિરોધ પ્રગટ કર્યો હતો. જયારે રેલીઓ યોજીને સ્થાનિક કક્ષાએ મામલતદારને આવેદન પાઠવી બન્ને તાલુકાઓને જૂના બનાસકાંઠામાં સમાવવા માંગણી કરી છે. ઉપરાંત, દિયોદરને જિલ્લાનું વડુ મથક બનાવી ઓગડ જિલ્લો જાહેર કરવાની પ્રજાની વર્ષો જુની માંગણીની અવગણના કરવામાં આવતાં વેપારીઓએ આ નિર્ણયનો વિરોધ દર્શાવી સજ્જડ બંધ પાળ્યું હતું.

