51 શક્તિપીઠ પરિક્રમા: અંબાજીમાં આધ્યાત્મિક ઉલ્લાસ, જાણો બીજા દિવસે કયા સંતો જોડાયા અને કેવી રહી ભવ્ય ત્રિશૂલ યાત્રા જુઓ VIDEO
VIDEO: યાત્રાધામ અંબાજીમાં ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય ‘51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ના બીજા દિવસે ગબ્બર પર્વત પર આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
વહેલી સવારથી જ ગબ્બર પર શ્રદ્ધાળુઓનો ભારે ઘોડાપૂર ઉમટી પડ્યો હતો અને સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.આજના દિવસનો આરંભ અત્યંત શ્રદ્ધાભર્યા માહોલમાં યોજાયેલી ભવ્ય ત્રિશૂલ યાત્રા તથા પાદુકા યાત્રાથી કરવામાં આવ્યો હતો. આ યાત્રાઓમાં દેશ-વિદેશથી આવેલા સાધુ-સંતો, ભક્તો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
પરિક્રમા માર્ગ પર સતત માતાજીના જયકાર, ભજન-કીર્તન અને ધૂનના સૂરોથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું, જેના કારણે ગબ્બર પર આધ્યાત્મિક ઉલ્લાસ છવાયો હતો.આજના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિવિધ શક્તિપીઠ સંકુલોમાં આયોજિત ‘શક્તિ યાગ’ (યજ્ઞ) રહ્યું હતું. પવિત્ર અગ્નિ સમક્ષ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ યજ્ઞમાં સાધુ-સંતો તથા વિદ્વાન પંડિતોએ વિધિવત પૂજન-અર્ચન કરી ધાર્મિક વિધિઓ સંપન્ન કરી હતી, જેનાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ આધ્યાત્મિક ભાવના જાગૃત થઈ હતી.બીજા દિવસે મોડાસા અરવલ્લીથી આસામથી મેહુલભાઈ શાસ્ત્રી જોડાયા હતા. વિષ્ણુપ્રસાદજી મહારાજ અને ધનગીરી બાપુ,દેવરાજ ધામ મોડાસાથી હાજર રહી પરિક્રમા કરી હતી.

