Aravalli/ કાર ઝાડ સાથે અથડાતા અકસ્માતમાં સાબરકાંઠાના વેપારીનું કરુણ મોત, ઇસરી પોલીસે તપાસ હાથ ધરી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલ રેલ્લાવાડા-કુણોલ રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત મોડી રાત્રે અથવા વહેલી સવારે થયો હોવાનું માનવામાં આવે છે. કાર ચાલકે કોઈ અગમ્ય કારણોસર સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર રોડ પરથી નીચે ઊતરીને રોડ કિનારે આવેલા ઝાડ સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતક સાબરકાંઠાના રણાસણ ગામનો વતની
આ અકસ્માતમાં કારમાં સવાર અરજીતભાઈ રમણભાઈ (ઉંમર ૫૦ વર્ષ)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક અરજીતભાઈ સાબરકાંઠા જિલ્લાના રણાસણ ગામના વતની હતા. ઘટનાની જાણ થતાં જ ઇસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ (પી.એમ.) માટે ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.
પોલીસે અકસ્માતની આ ઘટના અંગે ગુનો નોંધીને, અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો, કારની ગતિ કેટલી હતી અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

