આણંદ-વાસદ-તારાપુર હાઇવે પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માત: એકનું ઘટનાસ્થળે મોત, બે આઇસર ચાલકો ફરાર

આણંદ-વાસદ-તારાપુર સિક્સ લેન હાઇવે પર આજે 12 ઓકટોબર સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અકસ્માત વાસદ-તારાપુર હાઇવે પર બોચાસણ બ્રિજ પાસે થયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, બોચાસણ બ્રિજ ઉપર બે આઇસર ટેમ્પો અને એક કન્ટેનર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં કન્ટેનરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દુર્ઘટના એટલી ગંભીર હતી કે મૃતક ડ્રાઇવર કન્ટેનરમાં ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
બીજી તરફ, અકસ્માત સર્જાયા બાદ બંને આઇસર ટેમ્પોના ચાલકો પોતાનાં વાહનો ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે અકસ્માતમાં સામેલ બંને આઇસર ટેમ્પો એક જ માલિકના છે.
ઘટનાની જાણ થતાં જ બોરસદ ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને બહાર કાઢવા અને વાહન વ્યવહાર પૂર્વવત્ કરવા માટેની કામગીરી શરૂ કરી છે. પોલીસે સમગ્ર ઘટનાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ફરાર થયેલા આઇસર ચાલકોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ગમખ્વાર અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા, જોકે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી શરૂ કરી છે.

