આણંદ: ધનતેરસના પવિત્ર દિવસે આયુર્વેદ સંકુલમાં ધન્વંતરિ પૂજન અને હવન યજ્ઞ યોજાયો

દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. આ દરમિયાન ધનતેરસના પવિત્ર દિવસે આજે આણંદના આયુર્વેદ સંકુલમાં ધન્વંતરિ પૂજન અને હવન યજ્ઞ યોજાયો હતો. આજે ધનતેરસના શુભ દિવસે આણંદ સ્થિત આયુર્વેદ સંકુલ ખાતે ભગવાન ધન્વંતરિ દેવની પૂજા અર્ચના સાથે આરોગ્યમય વિશ્વની કામનાને કેન્દ્રસ્થાને રાખીને એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. વૈદ્યોની ઉપસ્થિતિમાં હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હવન દરમ્યાન વૈદ્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમગ્ર વિશ્વમાં રોગમુક્તતા, સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની ભાવના સાથે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
આરોગ્યલક્ષી સેમિનાર પણ યોજાયો
કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી સેમિનાર પણ યોજાયો હતો, જેમાં નિષ્ણાત વૈદ્યો દ્વારા સામાન્ય જનતાને આયુર્વેદના ઉપચાર, દૈનિક આહાર-વિહાર અને ઋતુચર્ય વિશે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયુર્વેદના પ્રત્યે વધતા રસ અને લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ જોવા મળી હતી. અહીં ધનતેરસના પાવન પ્રસંગે ભગવાન ધન્વંતરિ દેવના આરોગ્યના સંદેશને પ્રસારિત કરવાનો સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

