Ahmedabad news: 7 વાગ્યા પછી નહીં મળે કોઈ ટ્રેન, તહેવારો ટાણે મેટ્રો ટેનના સમયમાં કરાયો ઘટાડો

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવાળીના દિવસે ફટાકડાના વધુ પડતા ઉપયોગથી મેટ્રો ટ્રેનને સંભવિત નુકસાન ન થાય તે માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, દિવાળીના પર્વે (20મી ઓક્ટોબર) તમામ સ્ટેશનો પરથી ઓપરેટ થતી મેટ્રો ટ્રેનના સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મેટ્રો ટ્રેનનું સમયપત્રક
વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ: છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:05 વાગ્યે ઉપડશે.
થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ, APMCથી મોટેરા: છેલ્લી મેટ્રો ટ્રેન સાંજે 7:10 વાગ્યે ઉપડશે.
APMCથી સચિવાલય અને સચિવાલયથી APMC: છેલ્લી ટ્રેન સાંજે 6:24 કલાકે ઉપડશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ રાજ્યના વિકાસનું પ્રતીક બનીને ઉભર્યો છે. ગુજરાત મેટ્રોની સફર વર્ષ 2025માં નવા આયામો સર કરી રહી છે. શરૂઆતમાં જ્યાં દિવસના સરેરાશ 35 હજાર મુસાફરો મુસાફરી કરતા હતા, તે આંકડો આજે વધીને 1.5 લાખ સુધી પહોંચ્યો છે. અત્યાર સુધીમાં મેટ્રોમાં કુલ 10.38 કરોડ નાગરિકોએ મુસાફરી કરી છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનએ 99.84 ટકા સમયસર સેવા આપીને મુસાફરોનો વિશ્વાસ જીત્યો છે.

