Anand: મહીસાગર નદીના બ્રિજ પરથી યુગલે લગાવી મોતની છલાંગ, નાવિકોની સતર્કતાથી થયો આબાદ બચાવ

આણંદ જિલ્લાના વાસદ પાસે આવેલી મહીસાગર નદીના બ્રિજ પરથી આજે એક યુવક-યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. જોકે, નસીબજોગ નદીમાં હાજર સ્થાનિક નાવિકોની સતર્કતાને કારણે આ યુગલનો આબાદ બચાવ થયો છે.
આણંદના વહેરખાડી ગામના એક યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર વાસદ પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી નદીમાં પડતું મૂક્યું હતું. નદીમાં કૂદી પડનાર યુવક યુવતીને બચાવવા માટે ત્યાં હાજર સ્થાનિક નાવિકોની નજર તેમના પર પડી હતી. સમય સૂચકતા વાપરીને નાવિકો પોતાની નાવડીઓ લઈને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક લોકોએ પણ નાવડીઓ લઈને નદીમાં ઉતરી બચાવ કાર્યમાં મદદ કરી હતી. નાવિકોએ ભારે જહેમત બાદ બંનેને પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
બ્રિજની ઊંચાઈએથી પડવાને કારણે બંને યુવક-યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ દોડી આવી હતી અને પ્રાથમિક સારવાર આપી બંનેને વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

