અમદાવાદ AMTSની ડબલ ડેકર બસના ત્રણ રુટ બંધ કરી આ ચાર રુટ પર દોડાવવાનો નિર્ણય

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ દ્વારા વાહ વાહી કરીને ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી હતી પરંતુ તેનું જાણે બાળ મરણ થયું છે. ડબલ ડેકર બસના ત્રણ રુટ બંધ કરી દેવામાં આવ્યા છે. AMTS દ્વારા શહેરીજનોને આકર્ષવા અને વધુમાં વધુ AMTS મારફતે પરિવહન કરવા લગભગ એક વર્ષ પહેલાં સાત ઝોનમાં સાત એટલે કે દરેક ઝોનમાં એક ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં GSRTCની બસ હવે હાઈવે પરની આ 27 હોટેલ પર નહીં ઉભી રહે, જાણો શું છે મામલો
આ બસ પૈકી લાલ દરવાજાથી વસ્ત્રાલ, ઇસનપુરથી રાણીપ અને ઘુમા ગામથી લાલ દરવાજાનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે મુસાફરો ઓછા મળતા હોવાથી તે બંધ કરવામાં આવી છે. ત્રણ રૂટ બંધ કરી તેને ચાલુ ચાર રૂટમાં દોડાવવામાં આવી રહી છે. લાલ દરવાજાથી શીલજ, વાસણાથી ચાંદખેડા, સારંગપુરથી સિંગરવા અને નરોડાથી લાંભા રૂટ પર બસ દોડી રહી છે.
અહીં સવાલ એ થાય કે ડબલ ડેકર શરૂ કરતાં પહેલાં સર્વે કરવામાં આવ્યો હતો કે કયા રૂટ ઉપર પેસેન્જર વધુ મળશે તો પછી સર્વે યોગ્ય ન હતો? વિપક્ષનું કહેવું છે કે એએમટીએસ દ્વારા અનગઢ આયોજન કરવામાં આવે છે વગર વિચારી નિર્ણય કરવાને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે.

