Amreliમાં ભૂકંપનો સિલસિલો યથાવત; 4 કલાકમાં 7 આંચકા આવતા સ્થાનિકોમાં ફફડાટ

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાઓ આવ્યા છે. સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં આજે વહેલી સવારથી જ ભૂકંપના આંચકાઓનો સિલસિલો શરૂ થતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં કુલ 7 જેટલા આંચકા અનુભવાયા હતા.
આંચકાઓની શરૂઆત વહેલી સવારે 4:15 કલાકે 1.8ની તીવ્રતા સાથે થઈ હતી. ત્યારબાદ તરત જ 4:16 મિનિટે 2.3ની તીવ્રતાનો બીજો આંચકો અનુભવાયો હતો. હજુ લોકો કંઈ સમજે તે પહેલા જ 4:24 કલાકે 1.0ની અને 4:57 કલાકે 1.4ની તીવ્રતાના આંચકા નોંધાયા હતા. જે બાદ 7:00 વાગ્યે 2.2 અને 7:15 મિનિટે 3.58ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો. અંતે સવારે 7:51 કલાકે 1.5ની તીવ્રતા સાથે આ શ્રેણી વિરામ પામી હતી.
આ ભૂકંપની અસર માત્ર મીતીયાળા પૂરતી સીમિત ન રહેતા આસપાસના ભાડ, નાનુંડી, ધજડી, સાકરપરા, વાંકિયા, ખાંભા અને ઈંગોરાળા જેવા ગામોમાં પણ જોવા મળી હતી. આટલા ટૂંકા ગાળામાં આટલી મોટી સંખ્યામાં આંચકા આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર નોંધાયું છે. ગાંધીનગર સ્થિત સિસમોલોજી વિભાગે આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

