VIDEO: સાવરકુંડલામાં વગર વરસાદે ગટરના પાણી રસ્તા પર વહેતા લોકો ત્રસ્ત, પ્રિ-મોન્સૂન કામગીરીના ઉડ્યા લીરેલીરા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાંથી તંત્રની મોટી બેદરકારી સામે આવી છે, જ્યાં જેસર રોડ વિસ્તારમાં છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી ઉભરતી ગટરની સમસ્યાથી સ્થાનિકો ભારે ત્રસ્ત બન્યા છે. વગર વરસાદે રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે. ખાસ વાત એ છે કે આ સમસ્યા પાલિકાના પ્રમુખ નયનાબેન કાપડિયાના વોર્ડ નંબર ૮ થી શરૂ થઈને ઉપપ્રમુખ નૂતનબેન તન્નાના વોર્ડ નંબર ૩ સુધી વહી રહી છે, જેમાં વોર્ડ ૮ ની સરદાર પટેલ સોસાયટીથી લઈને વોર્ડ ૩ ની મંગલમ સોસાયટી સુધી ગટરના પાણી વહી રહ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સ્થિતિ પરથી સાવરકુંડલા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં લેતા આ ગંદા અને ઉભરાતા પાણીના કારણે વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી ગંભીર દહેશત સેવાઈ રહી છે, પરંતુ નિર્ભય અને નિષ્ક્રિય પાલિકા તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.

