VIDEO: Surendranagar / ખારાઘોડામાં ડીઝલ વિતરણમાં લાગવગના આક્ષેપ; ભેદભાવ રાખતા પંપ સંચાલકો સામે કાર્યવાહીની માંગ
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા પંથકમાં આવેલ પેટ્રોલપંપો પર ડીઝલ આપવામાં ભેદભાવ રાખવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ખારાઘોડા વિસ્તારમાં મોટાપાયે મીઠાનો ઉદ્યોગ ધમધમતો હોવાથી અહીં મશીનરી અને પરિવહન માટે મોટા પ્રમાણમાં ડીઝલની જરૂરિયાત રહે છે. જોકે, પેટ્રોલપંપ ધારકો માત્ર લાગતા-વળગતા લોકોને જ ફ્યુઅલ આપતા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીના દ્વાર ખખડાવ્યા છે.
ખારાઘોડાનું રણ મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે. મીઠાના અગરોમાં પાણી ખેંચવા માટેના પંપ અને અન્ય સાધનો સંપૂર્ણપણે ડીઝલ પર નિર્ભર હોય છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, જ્યારે સામાન્ય લોકો કે નાના અગરિયાઓ ડીઝલ લેવા જાય છે ત્યારે સ્ટોક નથી તેમ કહીને પરત કાઢવામાં આવે છે, જ્યારે વગદાર અને મળતિયાઓને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે છે. ત્યારે આ મામલે પૂરતા સ્ટોકમાં ડીઝલ આપવામાં આવે અને ભેદભાવ રાખતા પમ્પો સામે કાર્યવાહીની માંગ કરી છે.

