VIDEO: અમદાવાદની સાબરમતીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર લગાવાયું વ્હાઈટ સિગ્નલ
અમદાવાદમાં સાબરમતી નદીમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. સુભાષ બ્રિજ વિસ્તારમાં વ્હાઇટ સિગ્નલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. વાસણા બેરેજના 27 ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, અને સંત સરોવર ડેમમાંથી 96,234 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે..
સાબરમતી નદીના કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારો અને અમદાવાદ શહેર સહિત 19 જેટલા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે નાગરિકોની સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, નદીમાં પાણીના પ્રવાહ સાથે સાપ જેવા જીવજંતુઓ પણ જોવા મળ્યા છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે.
નદીકાંઠાના વિસ્તારોને હાઇ એલર્ટ
નદીની ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં હાલ 94056 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યો છે. જેમાં ક્રમશઃ વધારો થઈ શકે છે. તેથી આ અંગે નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યું છે.
ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

