VIDEO: ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મોત મામલો, પિતાએ કહ્યું અમે કશું છુપાવ્યું નથી
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પિતા વિમલ પ્રજાપતિએ જનતાને અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને લોકોમાં તેમના પરિવાર પર ખોટા આરોપો લગાવાઈ રહ્યા છે જે અત્યંત દુઃખદ છે.
જ્યાં સુધી FSL રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ અટકળો ન કરવામાં આવે
વિમલભાઈએ સ્પષ્ટતા કરી કે ઢોસા ખાધા બાદ તબિયત બગડી હોવાની તમામ હકીકત તેમણે પોલીસને જણાવી છે. તેમણે વિનંતી કરી છે કે જ્યાં સુધી FSL રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોઈ અટકળો ન કરવામાં આવે. અમારા માતા-પિતા ખૂબ સારા છે અને અમે કશું છુપાવ્યું નથી તેમ કહેતા પિતાએ ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી છે. મારો પરિવાર હાલ આઘાતમાં છે.
FSL રિપોર્ટ બાદ જ ખુલશે મોતનું રહસ્ય
ચાંદખેડા પીઆઈ (PI) એ જણાવ્યું હતું કે, 'આ કેસમાં સૌથી મહત્ત્વનો પુરાવો એફએસએલ અને વિશેરા રિપોર્ટ છે, જેને આવતા હજુ 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે. બાળકીઓના શરીરમાંથી ઝીંક અને એલ્યુમિનિયમ જેવા તત્વો મળ્યા હોવાની વાત છે, જેની સત્તાવાર પુષ્ટિ અહેવાલો આવ્યા બાદ જ થશે. રિપોર્ટ આવ્યા બાદ કેડી હોસ્પિટલના ડોક્ટરોનો પણ અભિપ્રાય લેવામાં આવશે કે જ્યારે બાળકીઓને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેમની સ્થિતિ શું હતી અને કયા પ્રકારની દવાઓ આપવામાં આવી હતી.'

