VIDEO: અમદાવાદના ફૂડ વિભાગનો સપાટો! પનીરના નામે ‘એનાલોગ’ના ખેલનો પર્દાફાશ, 11 રૅસ્ટોરન્ટ-ડેરીમાંથી 3.26 લાખનો દંડ વસૂલ્યો
VIDEO: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ફૂડ વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોની શુદ્ધતા ચકાસવા માટે સઘન ઝૂંબેશ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન ખાસ કરીને 'પનીર'ના નમૂનાઓમાં મોટી ગેરરીતિ સામે આવી છે. ફૂડ વિભાગે લો-ફેટ પનીર અને હાર્ડ મલાઈ પનીરના સેમ્પલ લીધા હતા, જેમાંથી 11 નમૂનાઓ અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા હતા.
એનાલોગ પનીરનો વધતો ઉપયોગ
તપાસમાં બહાર આવ્યું છે કે ઘણી જાણીતી રૅસ્ટોરન્ટ્સ અને ડેરીઓ દૂધમાંથી બનેલા શુદ્ધ પનીરના સ્થાને 'એનાલોગ પનીર'નો ઉપયોગ કરી રહી છે. એનાલોગ પનીર વનસ્પતિ તેલઅને સ્ટાર્ચ જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આ મામલે ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર તેજસ શાહે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પનીરના 170થી વધુ નમૂના લેવામાં આવ્યા છે અને જેમના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
દંડ અને કાર્યવાહી
AMC દ્વારા આ 11 એકમો પાસેથી કુલ 3.26 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. હવે આ કેસ એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ ચલાવવામાં આવશે, જ્યાં કાયદા મુજબ વધુ કડક પગલાં લેવામાં આવી શકે છે.
જે એકમોના પનીરના સેમ્પલ ફેલ થયા તેની યાદી:
ફૂડ વિભાગની યાદી મુજબ નીચે મુજબના એકમો શંકાસ્પદ અને અપ્રમાણિત પનીર વેચતા ઝડપાયા છે:
| વિસ્તાર | એકમનું નામ |
| ઈન્ડિયા કોલોની | પટેલ ડેરી |
| બાપુનગર | શ્રીનાથજી ભોજનાલય અને જય અંબે ભોજનાલય |
| મણિનગર | મીના હરિકુડ્સ |
| સરસપુર | જય ભવાની ખાના |
| રામોલ | બાબા રામદેવ ધાબા |
| રિલીફ રોડ | રિયલ પેપરિકા |
| જગતપુર | હોટલ ગામઠી |

