VIDEO: "વિપક્ષના નેતાનું અપમાન એ આખા દલિત સમાજ પર ઘા છે!", અમદાવાદમાં ગેહલોતનો મોટો વિસ્ફોટ
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અમદાવાદ ખાતે તાજેતરમાં સામે આવેલા 'શુદ્ધિકરણ' વિવાદને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને માત્ર એક વ્યક્તિગત વિવાદ નહીં, પરંતુ સમગ્ર દલિત સમાજના સ્વાભિમાન અને સન્માન સાથે જોડાયેલો ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.
વરિષ્ઠ નેતાના અપમાન પર આક્રોશ
અમદાવાદમાં પત્રકારો સાથે વાતચીત કરતાં અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, "આ એક અત્યંત ગંભીર અને મોટો મુદ્દો છે. જો કૉંગ્રેસના એક વરિષ્ઠ નેતા, વિરોધ પક્ષના નેતા જેઓ ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે અને અનેક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે, તેમની સાથે આવો વ્યવહાર થઈ શકતો હોય તો તે આઘાતજનક છે."
સમગ્ર દલિત સમુદાયના અસ્તિત્વનો સવાલ
ગેહલોતે ચિંતા વ્યક્ત કરતાં આગળ કહ્યું કે, "આ સવાલ માત્ર એક નેતા પૂરતો સીમિત નથી, પરંતુ સમગ્ર દલિત સમુદાય સાથે જોડાયેલો છે. જ્યારે આ સ્તરના કદાવર નેતા સાથે આવું વર્તન કરવામાં આવે છે, ત્યારે કલ્પના કરો કે દેશભરના સામાન્ય દલિત નાગરિકો રોજબરોજના જીવનમાં કેવા સંજોગો અને પીડામાંથી પસાર થતા હશે?" તેમણે સ્પષ્ટ કર્યું કે આવી માનસિકતા બંધારણીય મૂલ્યો અને સમાનતાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

