VIDEO: વિરમગામમાં પ્રેમપ્રકરણ મામલે શિક્ષકની જાહેરમાં હત્યા, જાણો શું છે મામલો
અમદાવાદ ગ્રામ્યનાં વિરમગામમાં શિક્ષકની ચકચારી હત્યાની ઘટના સામે આવી હતી. જાહેર રોડ પર નરેશ ચાવડા નામનાં શિક્ષકને રોકીને 3 શખ્સોએ લાકડી અને પાઈપથી માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જે ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. આ મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમપ્રકરણમાં આ હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે.
મૃતક નરેશ ચાવડા કે.બી શાહ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓની દિકરીની સગાઈ શંખેશ્વરના હર્ષાબેનના દિકરા સાથે દોઢ વર્ષ પહેલા થઈ હતી. જે દરમિયાન નરેશ ચાવડાને દિકરીના થનારી સાસુ એટલે કે વેવણ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, જેનાં કારણે દિકરીની સગાઈ પણ તુટી ગઈ હતી અને છેલ્લાં 7-8 મહિનાથી નરેશ ચાવડા વેવણ હર્ષાબેન સાથે મૈત્રીકરારમાં વિરમગામમાં ભાડે રહેતા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં યુવકને આર્થિક લેવડ-દેવડમાં હેરાન કરવાના મામલે PI સહિત 3 પોલીસકર્મી વિરૃદ્ધ ફરિયાદ
જે બાબતને લઈને હર્ષાબેનનાં પતિ કલાભાઈ ગોહિલે તેનાં પેટ્રોલપંપનાં ભાગીદાર અજીત ગોહિલ તેમજ સંબંધી જેસંગભાઈ કટારિયા સાથે મળીને લાકડી અને પાઈપથી નરેશ ચાવડા પર હુમલો કર્યો હતો. જેમાં ઈજાઓ થતા નરેશ ચાવડાને સારવાર માટે અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ખસેડાતા તેઓનું મોત થયુ હતું. આ મામલે ગુનો દાખલ થયા બાદ ગ્રામ્ય એલસીબી તેમજ સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

