અમદાવાદમાં યુવકને આર્થિક લેવડ-દેવડમાં હેરાન કરવાના મામલે PI સહિત 3 પોલીસકર્મી વિરૃદ્ધ ફરિયાદ

અમદાવાદમાં PI સહિત 3 પોલીસકર્મી વિરૃદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં 20 વર્ષના ફરિયાદી વિદ્યાર્થી યુવકને આર્થિક લેવડ-દેવડ મામલે હેરાન કરવાના આક્ષેપ સાથે DGPને ફરિયાદ નોંધવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં વસ્ત્રાલ વિસ્તારના રહેવાસી મનીષાબેન શર્મા જે વ્યાજનો ધંધો કરે છે. જે તે સમયે 20 વર્ષનો ફરિયાદી નિરજ ગુર્જર સગીર હતો અને મનીષાબેન દ્વારા તેને પૈસાનું લોભ લાલચ આપીને તેની પાસેથી પૈસાનું રોટેશન કરાવવામાં આવતું હતું. આખરે મહિલા અને તેમના મળતિયાઓ દ્વારા સગીર યુવક પાસેથી 22 લાખ રુપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. જે બાબતે સગીરે ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : ભાજપમાં અસંતોષને કારણે આ નેતાઓ કેસરિયો છોડી કોંગ્રેસમાં જોડાયા
આ ફરિયાદ અંગે રામોલ પોલીસ મહિલાનો એનકેન પ્રકારે બચાવ કરી રહી છે અને ફરિયાદ નોંધાયાના 90 દિવસ ઉપર થવા છતાં પોલીસ ચાર્જશીટ દાખલ કરતી નથી. તેમજ પોલીસ નીરજને ડરાવી ધમકાવી કેસ પાછો ખેંચી લેવા માટે ઉકસાવે છે અને 22 લાખની ચુકવણી કરી મહિલા સાથે સમાધાન કરવા માટે પ્રેરે છે.આ બાબતે છેલ્લા 2 મહિનાથી નીરજને સતત ત્રાસ આપી રહ્યા છે. છેલ્લે 12 ડિસેમ્બરના રોજ મનીષાબેનના મળતિયા દ્વારા રામોલ પોલીસમાં નીરજની વિરુદ્ધ એક ખોટો ગુનો પણ નોંધ્યો અને તેની ગેરકાયદેસર રીતે અટકાયત પણ કરી હતી.
નીરજે કરેલી ફરિયાદમાં યોગ્ય તપાસ ન કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. તેમજ સત્તાનો દુરુપયોગ અને મનસ્વી તપાસ કરીને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ મારી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે હાઇકોર્ટે આપેલા આદેશનું પાલન પોલીસ તરફથી ન કરાતું હોવાનું અને એક તરફી તપાસના આક્ષેપ સાથે નીરજે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે તમામ પોલીસ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા ફરિયાદમાં માંગ કરવામાં આવી હતી.

