સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, EDની ટીમ અમદાવાદની વિશેષ અદાલતમાં કરશે રજૂ

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદારના નિવાસસ્થાને આજે સવારથી ઇડીની મહારાષ્ટ્ર, દિલ્હી અને બેંગ્લોરની ટીમોએ સર્ચની કાર્યવાહી હાથ ધરી હતી. જમીન કૌભાંડ મામલે તપાસ કરી હોવાનું મનાઇ રહ્યું છે. મોડી સાંજ સુધી આ મામલે સત્તાવાર જાહેરાત થઇ નહતી.
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ
મળતા અહેવાલ પ્રમાણે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી ને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ કલેક્ટરો પણ EDની રડારમાં હોવાની ચર્ચા સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ચંદ્રસિંહ મોરીના ઘરમાંથી જરૂરી પુરાવાઓ EDની ટીમોએ જપ્ત કર્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલના નિવાસ સ્થાને પણ દરોડા દરમ્યાન જરૂરી પુરાવાઓ જપ્ત કર્યા હોવાની ચર્ચા સામે આવી છે.
જમની મામલામાં આ દરોડા પાડવામાં આવ્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, એનએ શાખાના ક્લાર્ક મયુરસિંહ ગોહિલ અને વકીલ ડી. ચેતન કણઝરીયા, કલેક્ટરના પીએ જયરાજસિંહ જાડેજાના લખતર સ્થિત નિવાસસ્થાને દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જમીન સંપાદન વિભાગના અધિકારીઓના ઘરે તપાસ હોવાથી જમીન કૌભાંડની આશંકા પણ પ્રબળ બની છે. ઇડીની ટીમોએ દસ્તાવેજો સહિત અન્ય વિગતોની તપાસ હાથ ધરી હતી.
અધિકારીઓના વર્તુળમાંથી માહિતી મુજબ જમીનના પ્રકરણમાં અરજી થઇ હોવાના કારણે ઇડીએ તપાસ હાથ ધરી છે.મની લોન્ડરિંગ અને બેનામી સંપત્તિના આ પ્રકરણમાં વધુ ખુલાસા કરવા માટે તપાસ એજન્સી દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

