સુભાષબ્રિજના સ્પાનની તપાસ કરાઈ; 3 એજન્સીઓ રિપોર્ટ તૈયાર કરશે, એક અઠવાડિયા સુધી બ્રિજ બંધ રહેશે
સુભાષબ્રિજની સુરક્ષા અને રિપેરિંગને લઈને ચાલી રહેલી કામગીરીમાં રિપોર્ટ આવવામાં હજી વિલંબ થશે. બ્રિજની સ્ટ્રક્ચરલ તપાસ માટે એક બેબી રેજન્સીઓ દ્વારા આજે સાંજ સુધીમાં સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ સેમ્પલના રિપોર્ટ બુધવાર બપોર બાદ આવે તેવી શક્યતા છે. જોકે, એજન્સીઓને રિપોર્ટ બને તેટલો ઝડપી આપવા માટે તાકીદ કરવામાં આવી છે.
સુભાષબ્રિજના નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓ સહિત અલગ અલગ ત્રણ એજન્સીઓ અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાનગી એજન્સીના અધિકારીઓ સુભાષબ્રિજ પર પહોંચ્યા હતા અને બોટ મારફતે બ્રિજના સ્પાનની તપાસ કરવામાં આવી હતી, જેના સેમ્પલ લેવામાં આવ્યા છે. ડૉ. રવિ કિરણ એજન્સી આ તપાસ કરી રહી છે. હાલમાં બ્રિજનું ડિટેલ ઇન્સ્પેક્શન હજી ચાલુ છે.
પ્રાથમિક માહિતી મુજબ, બ્રિજનો રિપોર્ટ આજે નહીં આવે. બ્રિજના રિપોર્ટ બાદ IIT મુંબઇ અને SVNIT (સર્દાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી) દ્વારા અભિપ્રાય આપવામાં આવશે. આ બંને સંસ્થાના અધિકારીઓએ પણ અગાઉ બ્રિજનું નિરીક્ષણ કર્યું છે.
બ્રિજના રિપેરિંગ માટે 2 થી 3 મહિનાનો સમય લાગી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજના ટેસ્ટની કામગીરી આગામી 15 ડિસેમ્બર સુધી ચાલવાની હોવાના કારણે હજી એક અઠવાડિયા સુધી બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. બ્રિજ બંધ હોવાના કારણે હાલમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે, જેને હળવી કરવા માટે તંત્ર દ્વારા વાડજ પાસેનો રસ્તો પહોળો કરવા સહિતના પગલાં લેવામાં આવ્યા છે.

