Ahmedabad: GTU ની ગંભીર બેદરકારી, સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7માં ગયા વર્ષનું પેપર બેઠું છાપી દીધું!

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે યુનિવર્સિટીની કામગીરી પર મોટો સવાલ ઊભો થયો છે. સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ૭નું પેપર બેઠુંનું બેઠું છાપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
માત્ર તારીખ બદલીને જૂનું પેપર મૂક્યું
મળતી માહિતી મુજબ, સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7 નું જે પેપર લેવામાં આવ્યું હતું, તે ગયા વર્ષના પેપરમાં માત્ર તારીખ બદલીને બેઠું છાપવામાં આવ્યું હતું.
જૂનું પેપર: 19-11-2024
નવું પેપર: 13-10-2025
એટલે કે, પેપરસેટર પ્રોફેસર દ્વારા ગયા વર્ષનું પેપર ઉપાડીને, ફક્ત તારીખ બદલીને ફરીથી છાપવાની ગંભીર ભૂલ કરવામાં આવી છે.
પેપરસેટર પ્રોફેસર દ્વારા છબરડો
આ ગંભીર છબરડો પેપરસેટર પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. એટલું જ નહીં, પેપરમાં પૂછાયેલા સવાલો પણ વિદ્યાર્થીઓને અગાઉ એસાઈન્મેન્ટમાં આપવામાં આવ્યા હતા.
GTU ના રજિસ્ટ્રાર દ્વારા હવે આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ ફરિયાદ કરવામાં આવશે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ છબરડાને કારણે યુનિવર્સિટીની વિશ્વસનીયતા અને પરીક્ષા પ્રણાલીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આક્રોશ વ્યક્ત કર્યો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) માં સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર ૭ના પ્રશ્નપત્રમાં થયેલા ગંભીર છબરડાને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ ઘટનાને માત્ર બેદરકારી નહીં, પણ વ્યાપક ગેરરીતિ અને પારદર્શિતાના અભાવનું ગંભીર ઉદાહરણ ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
'Copy-Paste' વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમે છે
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, GTU માં સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર-7નું પ્રશ્નપત્ર ગયા વર્ષનું જેમનું તેમ ફરી મૂકવામાં આવ્યું છે અને ફક્ત તારીખ બદલવામાં આવી છે. દોશીએ આકરા પ્રહાર કરતા કહ્યું કે, "ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ મહેનત કરે છે, સપના બનાવે છે, પરંતુ GTU ની આ 'copy-paste' કાર્યશૈલી તેમના ભવિષ્ય સાથે રમી રહી છે. આવો મોટો ભુલચૂક શૈક્ષણિક સિસ્ટમ પરનો વિશ્વાસ હલાવી દે છે."
કોંગ્રેસની સ્પષ્ટ માંગણીઓ
મનીષ દોશીએ આ મામલે કોંગ્રેસ પક્ષ વતી નીચે મુજબની સ્પષ્ટ માંગણીઓ કરી છે. તેમણે જણાવ્યું છે કે, આ સમગ્ર ઘટનાની તાત્કાલિક ધોરણે સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આ ગંભીર બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત થાય અને વિદ્યાર્થીઓનું હિત જળવાય.
દોશીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "GTU કોઈ ખાનગી મિલકત નથી, આ ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલ સંસ્થા છે. વિદ્યાર્થીઓની મહેનતનું અપમાન કોંગ્રેસ ક્યારેય સહન નહીં કરે."
રજિસ્ટ્રાર કે. એન. ખેર દ્વારા આ બાબતની પુષ્ટિ
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે. એન. ખેર દ્વારા આ બાબતની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પેપર સેટર પ્રોફેસરે માત્ર તારીખ બદલવાની જ તસદી લીધી અને ગયા વર્ષે કાઢવામાં આવેલું 'પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ'નું પેપર આ વર્ષે પણ બેઠેબેઠું ઉપાડીને છપાવા મોકલી દીધું હતું. આનાથી યુનિવર્સિટીની પરીક્ષા પ્રણાલીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
કસૂરવાર સામે પગલાં લેવાશે
આ ગંભીર છબરડા અંગે રજિસ્ટ્રાર કે. એન. ખેરે સ્પષ્ટતા કરી હતી કે:
-
આ સમગ્ર બાબત બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ લઈ જવામાં આવશે.
-
પેપરસેટર પ્રોફેસરની આ મામલે પૂછપરછ કરવામાં આવશે.
-
જો પ્રોફેસર કસૂરવાર સાબિત થશે, તો તેમને આગામી ત્રણ પરીક્ષાઓની કામગીરીમાંથી બાકાત રાખવામાં આવશે.
-
વધુમાં, આ ગંભીર બેદરકારી અંગે ડિરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન (DTE) ને પણ જાણ કરવામાં આવશે.
GTU દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા છબરડા ન થાય અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં ન થાય.

