Ahmedabad: મતદાર યાદીમાં નામ રાખવા હવે ફોર્મ ભરવું ફરજિયાત; 1 ડિસેમ્બર સુધી BLO ઘરે-ઘરે પહોંચશે
અમદાવાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમાર દ્વારા મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા અંગે મહત્ત્વની પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આગામી 1 ડિસેમ્બર સુધી 5524 જેટલા BLO (બૂથ લેવલ ઓફિસર) ઘરે-ઘરે જઈને મતદારોને મળશે.
ફોર્મ ન ભરો તો નામ કમી થશે!
દરેક મતદારને BLO દ્વારા યુનિક ફોર્મ આપવામાં આવશે, જેમાં પ્રાથમિક માહિતી પહેલેથી લખેલી હશે. અન્ય વિગતો મતદારે ભરવાની રહેશે. આ ફોર્મ ભરતી વખતે મતદારે હાલમાં કોઈ પુરાવા આપવાના રહેશે નહીં, માત્ર સહી કરીને આપવાથી પણ નામ જળવાઈ રહેશે. કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યું છે કે મતદાર યાદીમાં નામ રાખવા માટે આ ફોર્મ ભરવું જરૂરી છે. જો ફોર્મ સબમિટ નહીં કરવામાં આવે, તો બાદમાં નિયમ પ્રમાણે 12 પુરાવાઓમાંથી કોઈપણ એક પુરાવો આપવાનો રહેશે.
2002 ની યાદીનો ઉપયોગ: 2002 ની યાદી સર્ચ કરવામાં સરળતા રહે તે માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેમાં ત્રણ શબ્દ નાખતા સર્ચ થઈ શકે તેવી સુવિધા ઊભી કરાઈ રહી છે. આ નવી પ્રક્રિયા દ્વારા મૃત થઈ ગયેલા લોકોના નામ કમી કરી શકાશે.
મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ
ફોર્મની પ્રક્રિયા: 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી ચાલશે.
ડ્રાફ્ટ રોલ: 4 થી 9 ડિસેમ્બર સુધી ડ્રાફ્ટ રોલની પ્રક્રિયા ચાલશે.
અંતિમ યાદી: 7 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર થશે.
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી
અમદાવાદ જિલ્લામાં સરદાર પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવશે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
પદયાત્રાનું આયોજન: આગામી 16 થી 23 તારીખ દરમિયાન આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં સામાજિક સંસ્થાઓ, નાગરિકો, કોલેજો અને સરકારી સંસ્થાઓ જોડાશે.
વિધાનસભા મુજબ કાર્યક્રમ: તમામ વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીની હાજરી: અમદાવાદ જિલ્લા ખાતે 16 તારીખે મુખ્યમંત્રી પણ સરદાર પટેલ પદયાત્રામાં જોડાશે

