Ahmedabad: પીએમ મોદીના દીર્ઘાયુષ્ય અને કલ્યાણ માટે યોજાશે રાજસુય મહાયજ્ઞ
અમદાવાદમાં 5000 વર્ષ બાદ રાજસુય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.4 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી દરમિયાન યોજાનાર “મોદી વિશ્વ એકતા રાજસૂય મહાયજ્ઞ”નું બુધવારે દેવ દિવાળીના દિને ભૂમિપૂજન અને ધ્વજારોહણ સમારોહ અતિ ભવ્યતા અને શ્રદ્ધાભાવે સંપન્ન થયો. યજ્ઞનો મુખ્ય હેતુ ભારત તેમજ વિશ્વમાં એકતા,સમૃદ્ધિ અને શાંતિ સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય અને કલ્યાણ માટે દેવ આશીર્વાદ પ્રાપ્ત કરવાનો છે.
આ ઐતિહાસિક કાર્યક્રમની વિશેષતા એ છે કે તેમાં સમગ્ર ભારતમાંથી કિન્નર સમાજ ઉપસ્થિત રહેશે અને તેમના દ્વારા જ આ યજ્ઞનું આયોજન કરવામાં આવશે. રાજસૂય યજ્ઞનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે, અને મહાભારત કાળમાં રાજા યુધિષ્ઠિરે ઇન્દ્રપ્રસ્થમાં છેલ્લે આ યજ્ઞ કર્યો હતો.
આ ભવ્ય આયોજન અંતર્ગત આશરે 12 એકર વિસ્તારમાં વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવશે, જેમાં ભાગ લેવા દેશભરના હજારો કિન્નર અમદાવાદ આવશે. તમામ ભાગલેનારાઓ માટે નિવાસ અને જરૂરી સુવિધાઓ સાથે એક ટેન્ટસીટી પણ તૈયાર કરવામાં આવશે, જેથી આ આયોજનને એક મહાન આધ્યાત્મિક ઉત્સવ તરીકે અનુભવી શકાય.

