રાજ્યના પોલીસ વિભાગમાં હવે વહીવટદારોની ખેર નથી! નિર્લિપ્ત રાયને સોપાઇ તપાસ

રાજ્ય પોલીસ વડા દ્વારા વહીટવદારની જિલ્લા બહાર બદલી કરવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ વહીવટદારની મિલકત અંગેની પણ તપાસ કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડાએ સ્ટેટ મોનીટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને તપાસ સોપી છે. નજીકના દિવસોમાં વહીવટદારોની મિલકતો અંગેની ચોકાવનારી માહિતીઓ સામે આવી શકશે.
નિર્લિપ્ત રાયને તપાસ સોપાઇ
સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયને વહીવટદારોની જિલ્લા બહાર બદલી અને તેમને વસાવેલી સંપત્તિની તપાસ સોપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટદારોની સંપત્તિની માહિતી એકઠી કરવા સ્ટેટ મોનિટરિંગ સેલને હુકમ કર્યો છે. વહીવટદારોની જે જિલ્લામાં બદલી કરવામાં આવી છે ત્યાંના એસપી પાસે આ માહિતી માગી વધુ તપાસ કરવામાં આવશે.
પોલીસ વિભાગમાં વહીવટદારોની જે જિલ્લામાં બદલી કરવામાં આવી છે ત્યાંના અધિકારીઓ પાસે સ્થાવર કે જંગમ મિલકતની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાયે મંગાવી છે. આ સાથે જ તેમના ડીમેટ એકાઉન્ટ, લોકર સહિતની મિલકતની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આવક કરતા વધુ મિલકત પોતાના કે પરિવારના નામે વસાવી હશે તો સ્ક્રુટીની કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં કોન્ટ્રાક્ટ કિલિંગની ઘટના! ટ્રાવેલ્સ સંચાલકે ધંધાકીય હરીફાઇમાં આપી હત્યાની સોપારી
અમદાવાદમાં 13 વહીવટદારોની જિલ્લા બહાર કરવામાં આવી હતી બદલી
ગુજરાત પોલીસમાં વહીવટદારોનું રાજ જોવા મળે છે જેમાં પોલીસ અધિકારીઓનો વહીવટ કોન્સ્ટેબલ લેવલના પોલીસ કર્મીઓ કરતા હોય છે. અમદાવાદમાં 13 વહીવટદારોની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. જિલ્લામાં સજાના ભાગે બદલી કરવામાં આવે છે.અમદાવાદના વહીવટદારોને તાપી, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, કચ્છ, જામનગર, નર્મદા, બોટાદ, દ્વારકા, રાજકોટ ગ્રામ્ય, મહિસાગર જિલ્લામાં મુકવામાં આવ્યા હતા.

