અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળ વચ્ચે BRTSમાં મુસાફરોનો ધસારો, બપોર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ કરી મુસાફરી

અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે જાહેર પરિવહન સેવા BRTSને મોટો ફાયદો થયો છે. રિક્ષા સેવા ખોરવાતા મોટી સંખ્યામાં મુસાફરોએ BRTS બસ સેવાનો ઉપયોગ કર્યો હતો. બપોરે અઢી વાગ્યા સુધીમાં જ 1 લાખથી વધુ મુસાફરોએ BRTSમાં મુસાફરી કરી હતી.
મળતી માહિતી મુજબ, બપોરે અઢી વાગ્યા સુધીમાં કુલ 1,00,804 મુસાફરોએ BRTS સેવાનો લાભ લીધો હતો, જેના કારણે BRTSને રૂ.13,82,882ની આવક થઈ છે. સામાન્ય દિવસોમાં બપોરે અઢી વાગ્યા સુધીમાં અંદાજે 65 હજાર મુસાફરો BRTSમાં મુસાફરી કરતા હોય છે. તેની સરખામણીએ રિક્ષા ચાલકોની હડતાળના કારણે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ડ્રાઇવરોની રજા રદ
રિક્ષા ચાલકોની હડતાળને ધ્યાનમાં રાખીને BRTS દ્વારા તમામ રૂટ ચાલુ રાખવામાં આવ્યા છે. મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે તમામ ડ્રાઇવરો અને બસોને ઓન-રૂટ રાખવામાં આવ્યા છે. જે ડ્રાઇવરો રજા પર હતા, તેમની રજા પણ રદ કરીને ફરજ પર પરત આવવા જણાવાયું છે.
BRTSની તમામ બસો ઇલેક્ટ્રિક હોવાથી બસોના સંચાલન દરમિયાન ચાર્જિંગની વ્યવસ્થા પણ જાળવવામાં આવી છે. આમ, રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે અમદાવાદમાં BRTS મુસાફરો માટે મહત્વનું જાહેર પરિવહન માધ્યમ બની રહ્યું છે.

