VIDEO: બગદાણા મારામારી કેસના પીડિત નવનીત બાલધિયાનો કોંગ્રેસમાં પ્રવેશ, અમિત ચાવડાએ ખેસ પહેરાવી આવકાર્યા
બગદાણા મારામારી કેસમાં પીડિત નવનીત બાલધિયાએ શુક્રવારે (3 એપ્રિલ, 2026) રાજકારણમાં પ્રવેશ કર્યો છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નવનીતને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્યો છે.
ભાવનગરના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં ન્યાય અપાવવા માટે હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકીએ મદદ કરી હોવાથી નવનીત ભાજપમાં જોડાય તેવી ચર્ચા હતી. જો કે, આજે શુક્રવારે નવનીત વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. નવનીતની સાથે અનેક કોળી સમાજના આગેવાનો પણ કોંગ્રેસમાં જોડાયા છે.
શું હતો સમગ્ર કેસ?
આ વિવાદની શરૂઆત બગદાણામાં સામાજિક કાર્યકર અને કોળી અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાથી થઈ હતી. નવનીત બાલધિયાએ બગદાણા મંદિર અને ટ્રસ્ટને લગતા કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષના ધારાસભ્યો અને કોળી સમાજના આગેવાનો નવનીત બાલધિયાની પડખે ઊભા રહ્યા હતા. આ હુમલામાં જયરાજ આહીર અને તેના સાથીદારોના નામ ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં આરોપીઓ જામીન મુક્ત થયા હતા. નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસની તપાસ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સોશિયલ મીડિયા પર પણ આ મામલે જબરદસ્ત પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
કોણ છે નવનીત બાલધિયા?
નવનીત બાલધિયા એક સામાજિક કાર્યકર હોવા ઉપરાંત કોળી આગેવાન છે. તેઓ બગદાણાના રહેવાસી છે અને બગદાણાના સરપંચના કુટુંબી પણ છે. બગદાણાના ટ્રસ્ટ મામલે માયા આહીર દ્વારા મુંબઇમાં એક ડાયરામાં ચૂક થયા બાદ તેણે માયાભાઈ આહીરને ફોન કરીને માફી મંગાવ્યા બાદ આ ઓડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ માયા આહીરના પુત્ર દ્વારા કથિત રીતે નવનીત બાલધીયા પર હુમલો કરવામાં આવ્યો. ત્યાર બાદ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો.

