રાજ્યના 250 તાલુકામાં મેઘાવી માહોલ; સૌથી વધુ વલ્લભીપુરમાં 5.91 ઇંચ મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ?

સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. તેવામાં સોમવારે (14 સપ્ટેમ્બર) 12 કલાકમાં 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમદાવાદ શહેર સહિત 21 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના 250 તાલુકામાં મેઘમહેર
ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના આંકડા અનુસાર, 14 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 250 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ ભાવનગરના વલ્લભીપુરમાં 5.91 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આણંદના બોરસદમાં 5.51 ઇંચ, વડોદરાના કરજણમાં 4.17 ઇંચ, મહેસાણાના કડીમાં 4.17 ઇંચ, અને અમદાવાદના ધોળકામાં 4.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ સહિત 48 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ
ભરૂચમાં 3.82 ઇંચ, ખેડાના નડિયાદમાં 3.78 ઇંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં 3.74 ઇંચ, જામકંડોરણામાં 3.54 ઇંચ, અમદાવાદના દસક્રોઈમાં 3.50 ઇંચ, અમદાવાદ સિટીમાં 3.39 ઇંચ, સાણંદમાં 2.95 ઇંચ, બાવળામાં 2.28 ઇંચ સહિત કુલ 48 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

