Ahmedabad/ કાયદો-વ્યવસ્થાના ધજાગરા: બહેરામપુરામાં 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર (21મી ફેબ્રુઆરી)ની રાત્રે નજીવી બાબતે કે અન્ય કોઈ અદાવતમાં એક 19 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, આ લોહિયાળ ઘટના શનિવારે રાત્રે અંદાજે 10:00 વાગ્યાના અરસામાં બની હતી. બહેરામપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય હિમેશ પરમાર પર અજાણ્યા શખસોએ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. હુમલાખોરો હિમેશને લોહીલુહાણ હાલતમાં મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિનો તાગ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક હિમેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.
વિસ્તારમાં ભયનો માહોલ
રાત્રિના સમયે જાહેર રોડ પર થયેલી આ હત્યાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 19 વર્ષની વયે યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

