વીજ લાઇન બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાનો મુખ્યમંત્રીને પત્ર

વીજ લાઇન બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. આ પત્રમાં પોલીસ અને પ્રસાશન પર ખાનગી વીજ કંપનીઓની તરફદારી કરતા હોવાના આક્ષેપ મૂકવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર પણ ખેડૂતોના ભોગે ખાનગી વીજ કંપનીઓને મદદ કરી રહી છે.
"...તો વળતર પણ એ જ કાયદા મુજબ કેમ નહિ?"
પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે, કાયદાને કોરાણે મૂકી અલગ-અલગ પરિપત્ર દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યા કે, નોટિસ 2003, 1885ના કાયદાથી અપાય તો વળતર પણ એ જ કાયદા મુજબ કેમ નહિ? નોટિસ આપવામાં અને વળતર આપવામાં કાયદાઓ સરખા કેમ નહિ? એક જ કંપની, એક જ વીજ લાઇન, એક જ સરખો વીજ પ્રવાહ, એક સરખી જ જગ્યા રોકે તોયે ખેતરે-ખેતરે, જિલ્લે-જિલ્લે વળતર અલગ-અલગ કેમ?
"જમીનની કિંમત લાઈફ ટાઈમ ઘટે છે તો એ મુજબ વળતર કેમ નહિ?"
તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારની SOP મુજબ ખેડૂતોને વેલ્યુઅર કમીટી નિમવાની સતા કેમ નથી? કેન્દ્ર સરકારના 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ બજાર ભાવના ચાર ગણું વળતર આપવાનો અમલ કેમ નહિ? જો રાજસ્થાન સરકાર બજાર ભાવના ચાર ગણું વળતર આપી શકે તો ગુજરાત સરકાર કેમ ન અપાવી શકે? જમીનની કિંમત લાઈફ ટાઈમ ઘટે છે તો એ મુજબ વળતર કેમ નહિ? કંપની ધંધો કરે છે તો ખેડૂતોને કોમર્શિયલ ભાવ મુજબ વળતર કેમ નહિ?
સૉર્ટ સર્કિટના કારણે પાકને કાયમી નુકશાનીની ભીતિ
કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા આગળ બોલ્યા કે, મોબાઈલ ટાવર છત પર ઉભો થાય તો એ માસિક ભાડું આપે તો વીજ લાઇનના ટાવર માટે ખેડૂતોને માસિક ભાડું કેમ નહિ? વીજ લાઇન નીકળવાથી ખેડૂત પોતાનું ખેતર કયારેય બિન ખેતી કરાવી શકે નહીં. વીજ લાઇનના નક્કી થયેલા કોરિડોરમાં ખેડૂત મકાન, બોર, કૂવો ન કરી શકે, બાગાયતી પાક ન કરી શકે.
જણાવ્યું કે, હેવી વીજ લાઈનમાં સૉર્ટ સર્કિટના કારણે પાકને કાયમી નુકશાનીની ભીતિ રહે છે. હેવી વીજ લાઇનના કારણે ખેડૂતને જાન માલનું કાયમી જોખમ રહે છે. સરકાર ખેડૂત સંગઠનોને ચર્ચા, વિચારણા, પરામર્શ, માર્ગદર્શન માટે કેમ બોલાવતી નથી? સરકાર એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે જ શા માટે બેઠક કરે છે?
તેમણે કહ્યું કે, સરકાર અને કિસાન સંઘ સાથે મળીને કુંડળીમાં ગોળ ભાંગવા માંગે છે? આંદોલન મજબૂત થાય તો ખેડૂતોની માંગ મજબૂત થાય કે હળવી થાય? કિસાન સંઘ જવાબ આપે. કચ્છમાં ખેડૂતોમાં ઉભો થયેલો આક્રોશ સાથે મળીને હળવો પાડવા માટે તો બેઠકનું આયોજન થયું નથી ને? કિસાન સંઘ અને સરકાર કચ્છના ખેડૂતોની જે મૂળ માંગ છે તે અપાવી શકશે કે કંપની વતી ખેડૂતોને માંગ હળવી કરવા સમજાવશે?

