કચ્છના ખેડૂતોની જમીન પડાવવા અંગે ઈશુદાન ગઢવીનું નિવેદન, "ગુજરાત સરકાર ભાજપ નહીં પરંતુ અદાણી ચલાવે છે"
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે ગુજરાત સરકારને ખેડૂત વિરોધ ગણાવી તેમના પર વિવિધ આક્ષેપ કર્યા હતા.
આ પરિષદમાં કચ્છના ખેડૂતોની જમીન પડાવવા અંગે ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે, "ગુજરાત સરકાર ભાજપ નહીં પરંતુ અદાણી ચલાવે છે. ભાજપ સરકારની નીતિ જ ખેડૂત વિરોધી રહી છે. માત્ર કચ્છના ખેડૂતોની નહીં સમગ્ર રાજ્યની જમીન પર અદાણીની નજર છે. કચ્છ બાદ જૂનાગઢ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા પર નજર છે. રાજ્યના ખેડૂતો જાગી જાય અને ખેડૂત વિરોધી સરકાર સામે આંદોલન કરે."
ભાણવડ ખેડૂતની આત્મહત્યા મુદ્દ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "ભાજપની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી છ ખેડૂતે આત્મહત્યા કરી છે. ખેડૂતોની આત્યમહત્યા બાદ તેનો પરિવાર વિખેરાઈ ગયો. ખેડૂતની આત્મહત્યા બાદ સરકાર હજુ ઘોર નિદ્રામાં સૂઈ રહી છે. વિસાવદરમાં મગફળી પાક નિષ્ફળ જતા ખેડૂતે આત્મહત્યા કરી. સરકારી સહાય બાદ પણ દેવામાંથી બહાર ના નીકળતા ખેડૂતે આત્મહત્યા કરી."
પરિષદમાં ઈસુદાન ગઢવી દ્વારા જે ખેડૂત આત્મહત્યા કરે, તેના પરિવારને 1 કરોડની સહાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, પંજાબમાં ખેડૂતને હેક્ટરે 50 હજાર રૂપિયા એક મહિનામાં જમા કરાવ્યા છે. ગુજરાત સરકારે હજુ સુધી ખેડૂતને સહાય આપી નથી. દિવસેને દિવસે ગુજરાતનો ખેડૂત દેવાદાર બનતો જઈ રહ્યો છે. માત્ર ચોમાસામાં પાક નહીં પણ શિયાળુ પાક નિષ્ફળ ગયો છે. ટેકાના ભાવે મગફળી ખરીદી સરકાર ખેડૂતને લૂંટી રહી છે. એક બોરી ગ્રામ વધારે મગફળી લેવાતી હોવાનો આક્ષેપ ઈસુદાન ગઢવીએ કર્યો છે.

