Ahmedabad news: ઓઢવમાં સગી જનેતાએ સામાન્ય બાબતમાં 6 વર્ષની દીકરીનું ગળું દબાવી હત્યા કરી

Ahmedabad News: 'મા તે માં બીજા બધા વગડાના વા' પરંતુ આ કહેવત એક નિષ્ઠુર માતાએ કલંકિત કરી દીધી છે. અમદાવાદના શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી ચામુંડા નગર સોસાયટીમાં એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં છ વર્ષની માસૂમ બાળકી આરુષીની તેની માતા દ્વારા જ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તેના સાવકા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પારિવારિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા આ કરુણ અંજામ આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ઓઢવ પોલીસ સ્ટેશનમાં ગુરુવારે નોંધાયેલી FIR) અનુસાર, આ ઘટના 2 જુલાઈના બપોરના સમયે બની હતી. ધોરણ 1માં અભ્યાસ કરતી આરુષી બપોરે લગભગ 12 વાગ્યે શાળાએથી ઘરે પરત ફરી હતી. બપોરે લગભગ 3:30 વાગ્યે, તેની માતા ઉષા લોઢીએ તેને ઘરકામ કરવાનું કહ્યું. બાળકીએ ના પાડતા, ઉષાએ કથિત રીતે તેને અનેક થપ્પડો માર્યા અને ગુસ્સાના આવેશમાં તેનું ગળું દબાવી દીધું.
શિવમ એસ્ટેટ, ઓઢવમાં ફેબ્રિકેટર તરીકે કામ કરતા અમિતકુમાર શિવપાલ લોઢીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પત્ની ઉષાએ તેમને લગભગ 4:12 વાગ્યે ફોન કરીને જાણ કરી કે આરુષી સુઈ ગઈ છે અને જાગી રહી નથી. તેઓ તરત જ એક સહકર્મી સાથે ઘરે પહોંચ્યા, ત્યારે બાળકી બેભાન હાલતમાં મળી આવી. તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી.
શરૂઆતમાં આરુષીના મૃતદેહને ઘરે પાછો લાવવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકમાંથી કોઈએ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી દધી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને ઓઢવની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને સાંજે 5:00 વાગ્યે ઔપચારિક રીતે મૃત જાહેર કરવામાં આવી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ તપાસ હાથ ધરવામાં આવ્યું.
ઘટનામાં ચોંકાવનારો વળાંક આવ્યો
જોકે, બીજા દિવસે સવારે પરિસ્થિતિએ ચોંકાવનારો વળાંક લીધો. ઉષાએ તેના પતિ અમિતકુમાર સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી, જેમાં તેણે ગુસ્સામાં થપ્પડો માર્યા પછી આરુષીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું કથિત રીતે સ્વીકાર્યું. અમિતકુમારે આ અંગે પોલીસને જાણ કરી અને તેમની પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી.
ઉત્તર પ્રદેશના વતની અમિતકુમાર છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદમાં તેમની બીજી પત્ની ઉષા અને તેના અગાઉના લગ્નની બાળકી આરુષી સાથે રહેતા હતા. મૃતક આરુષી ઉષાની પુત્રી હતી અને તેમના લગ્ન પછીથી આ દંપતી સાથે રહેતી હતી.
ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધીને ઉષાની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. સત્તાવાળાઓએ અમિતકુમારના સહકર્મી રાજેશભાઈ સહિતના સાક્ષીઓના નિવેદનો પણ નોંધ્યા છે, જે ઘટનાના દિવસે તેમની સાથે હતા. તપાસકર્તાઓ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોઈ રહ્યા છે, જે મૃત્યુનું કારણ નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

