Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Congress woman corporator presents bogus LC, DEO orders police complaint

Ahmedabad: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે રજૂ કર્યું બોગસ LC, DEOએ આપ્યો પોલીસ ફરિયાદનો આદેશ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે રજૂ કર્યું બોગસ LC, DEOએ આપ્યો પોલીસ ફરિયાદનો આદેશ
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ માટે વધુ એક મુશ્કેલી ઊભી થઈ છે. કુબેરનગર વોર્ડના મહિલા કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા ચૂંટણી સમયે રજૂ કરવામાં આવેલું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (LC) તપાસમાં બોગસ સાબિત થયું છે. આ ગંભીર ગેરરીતિ સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.

App Store

કેવી રીતે થયો કૌભાંડનો પર્દાફાશ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુબેરનગર વોર્ડમાંથી વિજેતા બનેલા કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબેન નવલેકર દ્વારા બોગસ LC રજૂ કરવામાં આવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફરિયાદી ચિરાગ શાહ દ્વારા આ અંગે DEOમાં ફરિયાદ કરવામાં આવી હતી. કલ્પનાબેને કૃષ્ણનગર શાળામાં અભ્યાસ કર્યો હોવાનું દર્શાવીને GR નંબર 1248 અને LC નંબર 3194 વાળું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જોકે, ફરિયાદના આધારે DEO દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ LC તદ્દન ખોટું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં ખૂલ્યું છે કે આ GR નંબર અન્ય કોઈ વિદ્યાર્થીનો છે અને કોઈએ ડુપ્લીકેટ LC બનાવી તેના પર ખોટી સહીઓ કરીને આ ગેરરીતિ આચરી છે.

આ મામલે ફરિયાદ મળતા જ DEO એક્શન મોડમાં આવી ગયા હતા અને GR તથા દસ્તાવેજોની ચકાસણી કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનું સ્પષ્ટ થતાં, DEO દ્વારા કૃષ્ણનગર શાળાના આચાર્યને કલ્પનાબેન નવલેકર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ શાળાને સૂચના આપવામાં આવી છે.

DEO દ્વારા આ મામલે કડક વલણ અપનાવ્યું

DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'અમને ફરિયાદી ચિરાગભાઈ શાહ તરફથી એક ફરિયાદ મળી હતી, જેમાં કલ્પનાબેન સુરજભાઈ નવલેકરના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બોગસ હોવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ફરિયાદમાં આધાર તરીકે દર્શાવવામાં આવ્યું હતું કે તેણે 1990માં કૃષ્ણનગર વિદ્યાવિહાર, સહેજપુર ગોગાથી શાળા છોડી છે અને તેમનો જીઆર (GR) નંબર 1248 છે. મેં આ બાબતની તપાસ અમારા ઇન્સ્પેક્ટરને સોંપી હતી. પ્રાથમિક તપાસ અને શાળા સંચાલકો દ્વારા આધારો ચકાસતા અમને જાણવા મળ્યું છે કે આ એલસી સદર શાળામાંથી ઈશ્યૂ કરવામાં આવ્યું નથી અને તે પ્રાથમિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે ડુપ્લીકેટ અને બોગસ સાબિત થાય છે.'

બોગસ એલસી અંગે રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'જ્યારે અમે પૂરેપૂરી ચકાસણી કરી ત્યારે માલૂમ પડ્યું કે આ જીઆર નંબર અને એલસી નંબર પર શાળાના રજિસ્ટરમાં ખરેખર અન્ય વ્યક્તિઓના નામ નોંધાયેલા છે. તે સમયે કલ્પનાબેન આ શાળામાં અભ્યાસ કરતા હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી અને શાળા સંચાલકે પણ રિપોર્ટ આપ્યો છે કે કોઈએ તેની શાળાનું બોગસ એલસી બનાવી તેમાં ખોટી સહીઓ કરી છે. કલ્પનાબેન હાલમાં કોંગ્રેસ પક્ષના કુબેરનગર વોર્ડના વિજેતા ઉમેદવાર હોવાથી આ બાબતની ઊંડાણપૂર્વક ચકાસણી કરવી જરૂરી હતી, તેથી મેં સદર શાળાના આચાર્ય અને સંચાલકને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે કડક સૂચના આપી દીધી છે.'

પોલીસ કાર્યવાહીને લઈને રોહિત ચૌધરીએ જણાવ્યું કે, 'તેમણે આ બોગસ એલસીનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે જ કર્યો છે કે અન્ય કોઈ જગ્યાએ પણ તેના લાભ લીધા છે, તે હવે પોલીસ તપાસનો વિષય છે. અમારી પાસે જે કોપી આવી હતી, તેની ખરાઈ કરવાનું જ અમારું કામ હતું, જેમાં તપાસ કરતા આ એલસી ખોટું સાબિત થયું છે અને આ જીઆર નંબરથી તેઓ કોઈ પણ રીતે શાળામાં દાખલ થયેલા નથી. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ દ્વારા જે તપાસ કાર્યવાહી થશે, તેમાં જ વધુ વિગતો માલૂમ પડશે કે આમાં આગળ શું કાર્યવાહી થઈ શકે છે.'